Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મોરબી સ્થિત યંગ ઇન્ડિયા ગ્રૂપના કોવિડ સેન્ટરમાં તમામ ધર્મના ગુરુઓએ સાથે મળી પ્રાર્થના કરી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું.

યંગ ઇન્ડિયા ગ્રૂપ સંચાલિત કોવિડ સેન્ટરમાં તમામ ધર્મના અગ્રણીઓએ સમગ્ર વિશ્વને કોરોના સંકટમાંથી બચાવવા ઈશ્વર-અલ્લાહની બંદગી કરી : દાતાના સહયોગથી દરેક સમાજના દર્દીઓ માટે વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા શરૂ

મોરબી : કહેવાય છે કે દરેક આપતિ વખતે કોઈ ચીજ કામ ન આવે ત્યારે ઈશ્વર-અલ્લાહની સાચા દિલથી કરાતી દુઆ જ કામ આવતી હોય છે. હાલ મોરબી સહિત સમગ્ર વિશ્વ કોરોના સંકટથી ઘેરાયેલું છે. ત્યારે સર્વધર્મ સમભાવથી દેશની અંખડીતા માટે સેવારત રહેતા મોરબીના જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા સમગ્ર વિશ્વને કોરોના સંકટમાંથી ઉગારી લેવા માટે કોવિડ કેર સેન્ટર ખાતે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ ધર્મના અગ્રણીઓએ સમગ્ર વિશ્વને કોરોના સંકટમાંથી બચાવવા ઈશ્વર-અલ્લાહની બંદગી કરી હતી
મોરબીમાં સર્વધર્મ સમભાવ અને માનવતા મુઠી ઉંચેરી હોવાનું સિદ્ધ કરનાર જાણીતા યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા કોરોનાની બીજી ઇનિંગમાં નાતજાતના ભેદ ભૂલી દરેક સમાજના જરૂરિયાત મંદ દર્દીઓની સઘન સારવાર માટે મોરબીના રફાળેશ્વર ખાતે આવેલ આદર્શ નિવાસી શાળા ખાતે સમરસ્તા કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરેક ધર્મના દર્દીઓને સઘન સારવારની સાથે ઝડપથી સાજા થાય તે માટે કોરોનાનો હાઉ દૂર કરી સ્વજન જેવી જ હૂંફ પુરી પાડવામાં આવે છે. ત્યારે દવાની સાથે એક તું હી સહરાની જેમ ઈશ્વર અલ્લાહની સાચા દિલથી બંદગી આ કોરોના કહેરમાંથી બચી શકાય તેમ હોવાથી ગઈકાલે રવિવારે આ સમરસતા કોવિડ કેર સેન્ટર સર્વધર્મ સમભાવ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સર્વધર્મ સમભાવ પ્રાર્થના સભામાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી બહેન, મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ આરીફ મૌલાના, સૈયદ તાહીંરઅલી મૌલાના, સૈયદ આયુબ બાપુ, ક્રિશચયન ધર્મગુરુ થોમસ તેસી નન, શીખ ધર્મગુરુ નારસિંહ સોહનસિંહ સરદાર, રેડિયો ટીવી એન્કર ડો.શૈલેષ રાવલ સહિત હિન્દૂ, મુસ્લિમ, શીખ, ઈસાઈ એમ તમામ ધર્મના ધર્મગુરુઓ હાજર રહીને કોરોનાનું સંકટ વિશ્વમાંથી દૂર થાય અને દર્દીઓ ઝડપથી સાજા થાય તે માટે એકીસાથે ઈશ્વર-અલ્લાહની સાચા મનથી દુઆ કરી હતી. આ રીતે ધર્મગુરુઓ એકમચ ઉપર એકઠા થઈને કોમી એકતાની મિશાલ કાયમ કરી હતી.
દરેક સમાજના ધર્મગુરુઓએ યંગ ઇન્ડિયા ગ્રુપના સર્વધર્મ સમભાવના કાર્યને બિરદાવી માનવ સેવા એ જ સાચો ધર્મ હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું. જ્યારે યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા દાતાઓના સહયોગથી તમામ ધર્મના દર્દીઓ માટે ઓક્સિજનની સુવિધા સાથે એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સની દરેક ધર્મના દર્દીઓ માટે કોરોના ઉપરાંત કાયમની ધારણે વિનામૂલ્યે સેવા ચાલુ રહેશે. જેમાં મોરબીના કોઈપણ દર્દીઓ માટે ઓક્સિજન સાથે એમ્બ્યુલન્સની સેવાનો વિનામૂલ્યે લાભ આપશે તેવુ યંગ ઇન્ડિયા ગ્રુપના સંસ્થાપક દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું. આ એમ્બ્યુલન્સ સેવાનું લોકાર્પણ તમામ ધર્મના આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું. યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત વિનામૂલ્યે એમ્બ્યુલન્સ સેવા માટે હેલ્પલાઇન નબર 9974626108, 9974636108 ઉપર દર્દીઓ સંપર્ક કરીને સેવાનો લાભ લઇ શકશે.

(6:33 pm IST)