Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સુરેન્દ્રનગર યુવા ભાજપ મોરચાના પ્રમુખનો મૃતદેહ વતન જોબાળા લાવી અંતિમવિધિ

વઢવાણ,તા. ૧૦: સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ત્રણ હોદ્દેદારો (૧) હિતેન્દ્રસિંહ ચૌહાણ - જિલ્લા ભાજપ મહામંત્રી, રહે.ચોટીલા (૨) મૃગેશ રાઠોડ - યુવા ભાજપ મોરચાના પ્રમુખ, રહે.૮૦ ફુટ રોડ વઢવાણ અને (૩) ક્રિપાલસિંહ ઝાલા - યુવા ભાજપ મંત્રી, લીંબડી તાલુકો રહે.અંકેવાળીયાવાળા પાંચ-છ દિવસ પહેલા બદ્રીનાથ તેમજ કેદારનાથ દર્શનાર્થે ગયા હતાં અને પરત ફરતી વખતે કારચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતાં ડ્રાઈવર અને ત્રણેય હોદ્દેદારો અલકનંદાની અંદાજે ૩૦૦ ફુટ ઉંડી ખીણમાં કાર સાથે પડયાં હતાં. જેમાં યુવા ભાજપ મોરચાના પ્રમુખ મૃગેશભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત નીપજયું હતું .

જયારે જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં અને ડ્રાઈવર તેમજ અન્ય એક ભાજપના હોદ્દેદાર ક્રિપાલસિંહ ઝાલા લાપતા થતાં એસડીઆરએફ તથા હેલીકોપ્ટરની મદદથી શોધખોળ હાથધરવામાં આવી હતી. પરંતુ કોઈ જ પત્ત્।ો લાગ્યો નહોતો જયારે અકસ્માતના ત્રીજે દિવસે મૃતક આગેવાન મૃગેશભાઈ રાઠોડ તેમજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હિતેન્દ્રસિંહ ચૌહાણને પ્લેન મારફતે દહેરાદુનથી અમદાવાદ અને ત્યારબાદ અમદાવાદથી સુરેન્દ્રનગર ખાતે લાવવામાં આવ્યાં હતાં.

જેમાં મૃતક આગેવાન મૃગેશભાઈ રાઠોડના મૃતદેહને વઢવાણ ૮૦ ફુટ રોડ પર આવેલ રહેણાંક મકાન ખાતે લાવ્યા બાદ વતન જોબાળા ખાતે લઈ જઈ અંતિમ વિધિ કરવામાં આવી હતી. જેમાં મૃતકના પરિવારજનો, સમાજના આગેવાનો અને જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો સહિત કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં જયારે આ બનાવથી સમગ્ર જિલ્લા સહિત રાજયમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

(11:29 am IST)