Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સોમનાથની સુરક્ષા માટે અદ્યતન ચેકપોસ્ટ કાર્યરત

ગીર જિલ્લામાં કુલ ૩૬ ચેકપોસ્ટ લગાડવાની કાર્યવાહી ગતિમાં : ગમે ત્યાં ખસેડી શકાશે

(મીનાક્ષી - ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૧૦ : ભારતના બાર જ્યોર્તિલિંગ પ્રથમ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષાચેક પોસ્ટ અત્યાર સુધી માત્ર તાડપત્રી ઢાંકી બેઢંગી પોલિસ ચેક પોસ્ટમાં ફરજ બજાવતા હતા તેને સ્થાને આજથી ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા સોમનાથ મંદિરને અનુશાસન એન.જી.ઓ. જૂનાગઢના સહયોગથી ત્રણ પોલિસ ચેકપોસ્ટો અર્પણ કરાતા તે કાર્યરત થઇ છે.

૧૨*૮ની પી.વી.સી. બેઇઝડ આ ચેકપોસ્ટો ફાયર પ્રુફ છે જેથી આગ લાગી શકતી નથી. અંદર ગરમી લાગતી નથી, કાટ લાગતો નથી અને ચારે દિશાઓમાં મોટા કાચ લગાવેલ હોઇ તમામ દિશાએ નજર રાખી શકાય છે. આ કેબીનોમાં લાઇટ - મોબાઇલ ચાર્જીંગ પોઇન્ટ - પંખા સહિતની વ્યવસ્થાઓ છે.

એન.જી.ઓ. દાતાના સહયોગથી પ્રત્યેક ચેક પોસ્ટ અંદાજે રૂપિયા બે લાખની કિંમતની હોય છે. જૂનાગઢના રાજેશભાઇ કવા કહે છે આ ચેક પોસ્ટમાં એક માણસ સુઇ શકે અને ૬ જવાનો સરળતાથી બેસી શકે તેવી જોગવાઇ છે અને ભવિષ્યમાં અન્યત્ર ખસેડવી હોય તો પણ ખસેડી શકાય છે. સોમનાથ મંદિરના દરજ્જાને અનુરૂપ એન્ટીક તેના છાપરાને ગ્રામ્ય ભાતીગળ જીવન જેવા નળીયા ઢોળાવ અપાયો છે.

જિલ્લામાં આવી ૩૬ ચેકપોસ્ટો અને ટ્રાફિક બુથો લાગશે. જેમાં વેરાવળ ટાવર ચોક, પાટણ દરવાજા અને ભાલકા મંદિર પાસે ટ્રાફિક બુથો લાગશે જે ગોળ આકારના હશે.

સોમનાથ મંદિર ખાતે એન્ટ્રીગેટ પાસે, હમીરજી સર્કલ ચેક પોસ્ટ અને સોમનાથ વાહન પાર્કિંગ સર્કલ નજીક ગેટ પાસે તથા સુખસાગર સર્કલ, શાંતિપરા ફાટક, સાંઇબાબા મંદિર પાસે પણ લગાવાશે. કોડીનાર બાયપાસ, ઉના અને કોડીનાર ખાતે એમ કુલ ૩૬ ચેકપોસ્ટ - બુથો લગાડાશે.

(11:36 am IST)