Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

લોકલ ફોર વોકલના ભાગરૂપે સ્થાનિક ઉત્પાદનનો પ્રચાર કરવા સાથે ખરીદી કરવા માડમની અપીલ

રાષ્ટ્રીય કામધેનુ આયોગની પ્રવૃતિઓને બિરદાવતા સંસદ સભ્ય પૂનમબેન

જામનગર,તા. ૧૦: મોદીજી એ મેઇક ઇન ઇન્ડીયા ને પ્રાધાન્ય આપવા લોકલ ફોર વોકલનુ આહવાન કર્યુ છે જેના આદર સ્વરૂપે સંસદસભ્ય પૂનમબેન માડમએ એક અખબારી યાદી દ્વારા તેમજ તેઓના જુદા જુદા પ્રવાસ તેમજ મુલાકાતો દરમ્યાન તેમજ કાર્યક્રમો વખતે સ્થાનિક ઉત્પાદનને અપનાવવા અનુરોધ કર્યો છે કે દિવાળી તહેવારની નાનામા નાની હેન્ડીક્રાફ્ટ ની સુશોભનની કે ઘર ઓફીસ ની ચીજવસ્તુઓ સ્થાનિક કલા કસબી અને શ્રમિકો તેમજ કારીગરો-કલાકૃતિ બનાવનારો તેમજ માટી-કપડા-શણ-ડાળી-પાંદડા વગેરેમાંથી સુંદર સર્જન કરવા જહેમત ઉઠાવનાર બહેનો- ભાઇઓ- બાળકો- વડીલોએ જે વિવિધ ચીજ વસ્તુઓ બનાવી છે તેનો પ્રચાર થાય તેની ખરીદી થાય તે આવકાર્ય છે અમુક સ્થળોએ બનેલી વેસ્ટ માંથી બેસ્ટ ચીજ વસ્તુઓ માટેની જહેમત પણ ખૂબજ સરાહનીય ગણાવી છે .

તેમજ પ્રધાનમંત્રીશ્રી ના સંસ્કૃતિ જતન અને પરંપરા જતન ના આહવાન ને સન્માન આપી રાષ્ટ્રીય કામધેનુ આયોગની વિવિધ પ્રવૃતિઓ તેમજ ઉત્પાદનો વિશે જાણકારી મેળવીને આયોગની અથાગ જહેમત ખૂબજ બિરદાવવા લાયક ગણાવી છે.

સનાતન સંસ્કૃતિમાં ગાયમાતાને 'કામધેનુ' તરીકે વિશિષ્ટતા આપી છે તેને સાકાર કરવાના ભારત સરકારના રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા પરંપરાનુ જતન કરવાના ભગીરથ પ્રયાસ સ્વરૂપે ગાયના ગોબરમાંથી બનેલા ૩૩ કરોડ દિવા, 'કામધેનુ દિપાવલી અભિયાન' ના ભાગરૂપે આ તહેવારોમાં પ્રગટે તેવી સરાહનીય જહેમત ઉઠાવાઇ છે જે અંગેની માહિતીઓ રૂબરૂ મુલાકાત મા મેળવી ને આયોગના અધ્યક્ષ શ્રી વલ્લભભાઇ કથીરીયા જી ને સન્માન પુર્વક બિરદાવ્યા હતા તેમજ આ દીવડા પ્રગટાવવા સૌને અનુરોધ કર્યો હતો તેમજ ગાય માતાના મહત્વને આપણે સૌ સાથે મળી વધુ ને વધુ ઉજાગર કરતા જ રહીએ તેવુ આહવાન કર્યુ છે. સાંસદશ્રી પૂનમબેન માડમ એ જણાવ્યુ છે કે સ્થાનિક નાના કારીગરો દ્વારા નાના પાયે થયેલી રચનાત્મક જહેમતને પ્રોત્સાહન અપાય તો તે તમામ પરિવારોની દિવાળી ખરેખર રોશનીમય બની શકે છે માટે તેઓના જીવનમા ખુશી અજવાળુ લાવવા લોકલ ફોર વોકલ નો ફરીથી સાંસદ શ્રી પૂનમબેન માડમએ અનુરોધ કર્યો છે જેમાં ગાયના ગોબરમાંથી બનેલા દીવડા પ્રગટાવવાથી સંતોષ સાથે વોકલ ફોર લોકલ ને પ્રધાન્ય આપવા પર વધુ ભાર મુકયો છે કેમકે તેનાથી સ્થાનિક વેચાણ વધતા સૌ કસબીઓનો ઉત્સાહ વધશે રાષ્ટ્રના અર્થતંત્રને ગતિશીલ બનાવી રાષ્ટ્રની સેવા કરી ગણાશે તેમજ પરંપરાના જતન નો સંસ્કૃતિના આદરનો પણ અનુભવ થશે.

(12:55 pm IST)