Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

સરધારમાં એમપીના મજૂર વીરસીંગને વતનમાં થયેલા જમીનના ડખ્ખામાં બે પિત્રાઇએ પથ્થર મારી પતાવી દીધો'તોઃ ભેદ ખુલ્યો

ગત સાંજે થયેલી હત્યા-હત્યાના પ્રયાસની ઘટનાનો ભેદ કલાકોમાં ઉકેલાયોઃ ઘરના જ ઘાતકી નીકળ્યા : ક્રાઇમ બ્રાંચ અને આજીડેમ પોલીસની ટીમે હત્યાનો ભોગ બનનાર વીરસીંગના કાકાના દિકરાઓ કમલસીંગ ઉર્ફ કમલેશ શિંગાળ અને રમલેશ ઉર્ફ રમેશ શિંગાળને સરધાર નજીકથી દબોચી હત્યામાં વપરાયેલા પથ્થરો કબ્જે કર્યા : ડીસીબીના નગીનભાઇ ડાંગર અને અમીતભાઇ અગ્રાવત તથા આજીડેમના જયપાલભાઇ બરાલીયાની બાતમી પરથી બંને આરોપી વતનમાં ભાગી જાય એ પહેલા પકડી લેવાયા : બે દિવસ પહેલા માથાકુટ થતાં વીરસીંગે બે પિત્રાઇ ભાઇઓને ગાળો દીધી'તીઃ ગઇકાલે વીરસીંગ ઓચીંતો ભેગો થતાં ઝઘડો થયો ને પથ્થર ફટકારી દીધાઃ બાળકને અકસ્માતે પાણો લાગી ગયો'તો

વીરસીંગનો નિષ્પ્રાણ દેહ અને ઘાયલ થયેલો તેનો બે વર્ષનો પુત્ર સચીન સારવારમાં નજરે પડે છે : તસ્વીરમાં વિગતો જણાવી રહેલા ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા સાથે એસીપી એચ. એલ. રાઠોડ, પીઆઇ વી. જે. જાડેજા અને વી. કે. ગઢવી તથા નીચેની તસ્વીરમાં બંને આરોપી, મૃતકની સાયકલ, આરોપીઓનું બાઇક અને કબ્જે થયેલા બે પથ્થર જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા) (૧૪.૫)

રાજકોટ તા. ૧૧: શહેરના આજીડેમ પોલીસે ગઇકાલે એક હત્યાના બનાવની તપાસ હજુ પુરી કરી હતી ત્યાં જ બીજી હત્યાનો બનાવ જાહેર થયો હતો. સરધાર ગામની સીમમાં હરિપર રોડ પર મુળ મધ્યપ્રદેશના ૨૭ વર્ષિય યુવાન અને તેના ૦૨ વર્ષના પુત્ર પર કોઇએ પથ્થરથી હુમલો કરતાં યુવાનનું માથું છૂંદાઇ જતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે બે વર્ષના પુત્રને ગંભીર ઇજા પહોંચી હોઇ સારવાર હેઠળ છે. ભેદી હત્યા અને હત્યાના પ્રયાસના આ બનાવમાં આજીડેમ પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાંચ અને આજીડેમની ટીમે કલાકોમાં ઉકેલી બે આરોપીને દબોચ્યા છે. હત્યાનો ભોગ બનનારને તેના વતનમાં ચાલતાં જમીનના ડખ્ખાને કારણે તેના જ સગા કાકાના દિકરાઓએ પતાવી દીધાનું ખુલ્યું છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના બેહડવા ભવરા ભાભરા ગામનો વતની વીરસીંગ મહોબતભાઇ શીંગાળ (ઉ.વ.૨૭) બે વર્ષથી સરધારની સીમમાં આવેલી હરેશભાઇ બચુભાઇ પાનસુરીયાની વાડીમાં પત્નિ જાનુબેન અને બે પુત્ર સચીન (ઉ.૨) તથા અશ્વિન (ઉ.૨ માસ) સાથે રહી ખેત મજૂરી કરે છે. વીરસીંગે જેની સાથે લગ્ન કર્યા છે એ જાનુબેનના આ બીજા લગ્ન છે. તેણીના પ્રથમ લગ્ન મધ્યપ્રદેશના આલમસિંગ બલવારી સાથે થયા હતાં. સાત વર્ષ પહેલા આ લગ્ન થકી એક પુત્ર ચંદુનો જન્મ થયો હતો. જે તેણીના પિતા શંકરભાઇ સાથે છે. બે વર્ષ આલમસિંગ સાથે લગ્ન સંસાર ચાલ્યા પછી છુટાછેડા થઇ ગયા હતાં. એ પછી તેણીએ આજથી પાંચ વર્ષ પહેલા વીરસીંગ સાથે બીજા લગ્ન કર્યા છે.

વીરસીંગનો સાળો લાલસિંગ અને સાળી સોનલ તથા સાળાની ઘરવાળી એમ બધા ધોરાજી વાડી વાવવા રાખી હોઇ ત્યાં રહે છે. સોમવારે આ ત્રણેય વતનથી ધોરાજી આવ્યા હોઇ અને સાથે કપડા લાવ્યા હોઇ જેથી સાળા લાલસિંગ પાસેથી કપડા લેવા જવા વીરસીંગ સરધારથી સાયકલ લઇને નીકળ્યો હતો. તેણે સાથે બે વર્ષના પુત્ર સચીનને પણ લીધો હતો.

વીરસીંગ અને પુત્ર સચીન સરધાર પહોંચ્યા પછી સાયકલ ત્યાં મુકી દીધી હતી અને ખાનગી વાહનમાં રાજકોટ ગયા હતાં. જ્યાં સાળા લાલસીંગને મળી કપડા લીધા હતાં. એ પછી છેલ્લે વીરસીંગે તેના નાના ભાઇ કમરૂ સાથે ફોનમાં વાત કરી હતી. જાનુબેન પતિ અને પુત્ર રાજકોટથી પરત આવે એની રાહમાં હતી ત્યાં સાંજે પોલીસ તે વાડીએ પહોંચી હતી અને તેણીના પતિ વીરસીંગની સરધારની સીમમાં વાડી નજીક હરિપર રોડ પર કોઇએ માથામાં પથ્થર ફટકારી મરી નાંખ્યાની અને પુત્ર સચીન (ઉ.૨)ને પણ ગંભીર ઇજા પહોંચી હોવાની જાણ કરી હતી.

૧૦૮ને જાણ થતાં ઇએમટી કાળુભાઇ ગોહીલ અને પાઇલોટ સંજયભાઇ કલોતરાએ પહોંચી કાર્યવાહી કરી હતી. ગંભીર રીતે ઘવાયેલા બાળક સચીનને રાજકોટ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. અહિથી તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો. પતિની હત્યાની જાણ થતાં જ જાનુબેન સહિતના ઘટના સ્થળે દોડી ગયા હતાં. તેણીના પતિનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ હતો અને ગાયબ હતો.

આજીડેમ પોલીસે જાનુબેનની ફરિયાદ પરથી તેના પતિની હત્યા અને પુત્રની હત્યાની કોશિષ કરવા સબબ અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૦૨, ૩૦૭, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધી તપાસ આરંભી હતી. હત્યાનો ભોગ બનનાર વીરસીંગ ત્રણ ભાઇ અને છ બહેનમાં વચેટ હતો. તેની નાનો ભાઇ કમરૂ અને એક બહેન કલા અહિ સરધાર તેની સાથે રહે છે. જ્યારે બીજી ત્રણ બહેનો અને એક ભાઇ ટંકારા રહી મજૂરી કરે છે. વીરસીંગના પિતા મહોબતભાઇ વતનમાં છે, માતા હયાત નથી.

વીરસીંગની હત્યા કોણે અને શા માટે કરી? તે અંગે તપાસ શરૂ થઇ હતી. દરમિયાન ડીસીબીના નગીનભાઇ ડાંગર અને અમિતભાઇ અગ્રાવત તથા આજીડેમ પોલીસ મથકના જયપાલભાઇ બરાલીયાને બાતમી મળી હતી કે વીરસીંગને બે દિવસ પહેલા તેના પિત્રાઇ ભાઇઓ કમલસિંગ ઉર્ફ કમલેશ ગુલાબસિંગ મેથુરભાઇ શિંગાળ (આદિવાસી-ઉ.૩૦-રહે. સરધારા ચિરાગભાઇ પટેલની વાડી, મુળ બેહડવા અલીરાજપુર એમપી) તથા રમલેશ ઉર્ફ રમેશ શંકરભાઇ મેથુરભાઇ શિંગાળ (ઉ.૨૬-રહે. સરધાર ચિરાગભાઇ પટેલની વાડીમાં, મુળ બેહડવા એમપી) સાથે માથાકુટ થઇ હતી અને આ કારણે તેણે જ પથ્થરોના ઘા ફટકાર્યા છે. આ બંને વતન ભાગી જવા નીકળવાની તૈયારીમાં છે. આ બાતમીને આધારી ટીમ પહોંચી ગઇ હતી અને બંનેને પકડી લઇ હત્યામાં વપરાયેલા પથ્થરો, બાઇક તથા મૃતકની સાયકલ કબ્જે કર્યા હતાં.

કમલસિંગ અને રમેલેશે કબુલ્યું હતું કે તેઓ અને મૃતક વીરસીંગ કાકા-મોટાબાપુના સગા ભાઇઓ છે. વતનમાં આવેલી ખેતીની જમીન મામલે બે વર્ષ પહેલા વીરસીંગ સાથે કમલેશને માથાકુટ થઇ હતી. ત્યારથી મનદુઃખ ચાલતું હતું. ત્રણ દિવસ પહેલા પણ વીરસીંગે ઝઘડો કરી ગાળ દઇ મારકુટ કરી લીધી હતી. દરમિયાન ગઇકાલે સોમવારે ૧૦મીએ વીરસીંગ તેના દિકરા સાથે સાયકલ પર હરિપરના રસ્તે સામે મળી જતાં ફરી ઝઘડો થતાં મારામારી થતાં કમલસિંગ અને રમેલેશે પાણકા ઉપાડી ફટકારી દીધા હતાં. જેમાં એક પથ્થર અકસ્માતે વીરસીંગના પુત્ર સચીનને પણ લાગી ગયો હતો. આ પછી બંને ભાગી ગયા હતાં.

પોલીસ કમીશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી એચ. એલ. રાઠોડની  સુચના મુજબ આ પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ વી.જે.ચાવડા તથા પો.સબ ઇન્સ. પી. એમ. ધાખડા, પીએઅઆઇ એમ.ડી.વાળા, જી. એન. વાઘેલા, એએસઆઇ જાવેદભાઇ રિઝવી, ડીસીબીના મયુરભાઇ પટેલ, અમીતભાઇ અગ્રાવત, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, ભાવેશભાઇ ગઢવી, પ્રદિપસિંહ જાડેજા, સંજયભાઇ રૂપાપરા, આજીડેમના જયપાલભાઇ બરાલીયા,  શૈલેષભાઇ નેચડા અને કુલદિપસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી.

ટીમને અપાયો રોકડ પુરષ્કાર

હત્યાના ગુનાનું ઝડપી ડિટેકશન કરનાર સમગ્ર ટીમને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ૧૫ હજારનો રોકડ પુરષ્કાર આપી સન્માન કર્યુ હતું.

(2:43 pm IST)