Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

મુન્‍દ્રા પંથકના બારોઇ ગામના કચ્‍છ વિશા ઓશવાળ જૈન સમાજ દ્વારા વસ્‍તી વધારો અભિયાન શરૂ કરાયુ

ઘટતી વસ્‍તીને કારણે બીજા અને ત્રીજા સંતાન પર દંપતીને રૂપિયા 10 લાખ પ્રોત્‍સાહનરૂપે સહાયની જાહેરાત

ભુજઃ જૈન સમાજની ઘટતી જતી વસ્‍તીને ધ્‍યાને લઇ મુન્‍દ્રા પંથકના બારોઇ ગામના કચ્‍છ વિશા ઓશવાળ જૈન સમાજે વસ્‍તી વધારવા માટે બીજા અને ત્રીજા સંતાનના જન્‍મ પર દંપતીને રૂપિયા 10 લાખ આપવાની જાહેરાત કરી છે.

બારોઈ ગામમાં જૈન સમાજ દ્વારા વસતી વધારવા 'હમ દો હમારે દો-તીન' નો નારો આપવામાં આવ્યો છે. બીજા અને ત્રીજા સંતાન પર દંપતીને રૂ. 10 લાખ પ્રોત્સાહન રૂપે આપવાની જાહેરાત પણ કરાઈ છે. જૈન સમાજની ઘટતી વસ્તીને ધ્યાનમાં લઈને કચ્છના મુન્દ્રાના બારોઈ ગામના કચ્છ વિસા ઓસવાળ જૈન સમાજ દ્વારા આ જાહેરાત કરવામા આવી છે.

ભારતમાં પારસી સમાજ એવો છે જેની ઘટતી વસ્તી મોટી સમસ્યા છે. આ સમાજ પોતાની વસ્તીને ટકાવી રાખવા અનેક પ્રયાસો કરી રહ્યો છે. ત્યારે હવે ધીરે ધીરે ભારતમાં અન્ય સમાજમાં પણ જાગૃતિ આવી છે. જેઓ પોતાની ઘટતી વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. તો કેટલાક સમાજે વસ્તી વધારવા માટેના પગલા લેવાની શરૂઆત કરી છે. જૈન સમાજની ઘટતી વસ્તી સામે હવે સમાજના લોકો જાગૃત થયા છે. કચ્છના મુન્દ્રાના બારોઈ કચ્છી વિસા ઓસવાળ જૈન સમાજ દ્વારા વસ્તી વધારવા અનોખી જાહેરાત કરવામાં આવી છે.

સમાજ દ્વારા લોકોને હમ દો હમારે તીનનું સૂત્ર આપવામાં આવ્યુ છે. જેથી દરેક પરિવાર  ત્રીજા સંતાન વિશે વિચારે. સમાજ દ્વારા ત્રીજા સંતાન માટે એક યોજના બહાર પાડવામાં આવી છે. જે મુજબ, પરિવારમાં જન્મ લેનાર ત્રીજા સંતાન માટે સમાજ દ્વારા સહાય આપવામાં આવશે. યોજનાના ભાગરૂપે સમાજમાં બીજા અને ત્રીજા સંતાનના જન્મ બાદ એક લાખ અને દર જન્મ દિવસે 50 હજાર મળી 18માં વર્ષ સધુ કુલ 10 લાખની સહાય અપાશે. આમ, 18 વર્ષ સુધી આ સહાય મળતી રહેશે. 1 જાન્યુઆરી, 2023 બાદ જન્મ લેનારા સંતાનોને આ યોજનાનો લાભ મળશે.

સમાજના લોકો દ્વારા આ યોજનાને વધાવી લેવામાં આવી છે. આગામી ભવિષ્યમાં જૈન સમાજના અસ્તિત્વ પર ખતરો હોવાનું ભય દેખાતાં આ યોજના લાગુ કરવામાં આવી છે. બારોડ કવિઓ જૈન સમાજના પ્રમુખ ડો કલ્યાણજીભાઈ કેનિયાએ આ વિશે જણાવ્યુ કે, આજની પેઢી કારકિર્દી માટે ઘેલી થઈ છે. તેથી તેઓ સંયુક્ત કુંટુબની ભાવના ભૂલી રહી છે. આ કારણે જ અમે આ યોજના બનાવી છે. જેથી પરિવાર વધે. અમારા સમાજના મોટાભાગના લોકો મુંબઈમાં સ્થાયી થયા છે. એક સરવે કરતા અમને જાણવા મળ્યુ કે, અમારા સમાજના 400 ઘર છે. જેમાં 800 વ્યક્તિ ઓછા થયા છે. તેથી જો સમાજની વસ્તી વધારવી હશે તો આ જ એક રસ્તો છે. આ યોજના માટે જરૂરિયાતમંદ ભંડોળ સમાજના આર્થિક રીતે સધ્ધર લોકો પાસેથી એકત્રિત કરવાનું નક્કી કરાયું છે. જેમાં ચોતરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

(12:20 pm IST)