Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

થાનમાં ખરખરો કરી પાછા આવતી વખતે છોટાહાથીએ બાઇકને ઉલાળ્યું: ગભરૂભાઇનું મોત, મોટાભાઇને ઇજા

અમરાભાઇ અને ગભરૂભાઇને રાજકોટ ખસેડાયાઃ પણ એક ભાઇનો જીવ ન બચી શકયો

રાજકોટ તા. ૧૧: થાન પરમેશ્વર પ્લોટમાં રહેતાં બે ભરવાડ બંધુ નજીકના ગુંદાખડા ગામે કુટુંબી સગાને ત્યાં ખરખરો કરીને આવતાં હતાં ગામની મામલતદાર ઓફિસ પાસે બાઇકને છોટાહાથીએ ઠોકરે લેતાં બાઇકસ્વાર બે ભાઇઓને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ એક ભાઇનું મોત નિપજ્યું હતું. બીજા સારવાર હેઠળ છે.થાન રહેતાં અમરાભાઇ હીરાભાઇ પરમાર (ઉ.વ.૬૦) તથા ગભરૂભાઇ હીરાભાઇ પરમાર (ઉ.વ.૫૬) ગઇકાલે ગુંદાખડા ગામે સગાને ત્યાં કુટુંબી સગાને ત્યાં ખરખરો કરવા ગયા હતાં. ત્યાંથી બંને ભાઇ બાઇક પર પાછા પોતાના ઘરે આવી રહ્યા હતાં ત્યારે મામલતદાર ઓફિસ પાસે છોટાહાથી વાહનની ઠોકરે ચડી જતાં બંને ભાઇઓને ઇજાઓ થતાં થાન સારવાર લઇ રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ ગભરૂભાઇનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે થાન પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર ગભરૂભાઇ છ ભાઇ અને ત્રણ બહેનમાં વચેટ હતાં અને ટ્રેકટરના ફેરાનું કામ કરતાં હતાં. સંતાનમાં ચાર પુત્ર છે. બનાવથી પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

(11:42 am IST)