Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

લખતરના લીલાપુર ગામે શોક લાગતા બેન્‍જો માસ્‍ટરનું મોત

વઢવાણ,તા. ૧૧ : સુરેન્‍દ્રનગર જિલ્લામાં શ્રાવણ માસ તેમજ તહેવારોના દિવસો નજીક હોવાથી અનેક જગ્‍યાઓ પર કથા, સંતવાણી, ભજન સહિતના કાર્યક્રમો થઇ રહ્યા છે. આથી લખતર તાલુકાના લીલાપુર ગામે કથા ચાલી રહી છે. ત્‍યારે તા.૮-૮-૨૨ને સોમવારના રોજ રાત્રે ભજનનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સાઉન્‍ડનું કામકાજ શરૂ હતું. તે સમયે ગામનાં ૩૮ વર્ષના બેન્‍જોમાસ્‍ટર એવા ચેતનભાઈ રામજીભાઈ પાટડીયા માઇક્રોફોનનું સેટિંગ કરી રહ્યા હતા.

આ દરમિયાન તેમને વીજશોક લાગતાં સારવાર અર્થે લખતર સરકારી દવાખાને લઇ જવાયા હતા. જયાં ફરજ પરના તબીબે ચેતનભાઈને મૃત જાહેર કર્યા હતા. આ અંગે લખતર પોલીસમાં અકસ્‍માતે મોત થયાની ફરિયાદ નોંધાઇ છે. આ કેસની તપાસ સાહિરખાન મલેક ચલાવી રહ્યા છે. બીજી તરફ ગામમાં યુવાનનું મોત થતા શોકનો માહોલ છવાઇ ગયો હતો.

(12:58 pm IST)