Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

ભાવનગરમાં કાલે ભવ્યાતિભવ્ય 'તિરંગા યાત્રા'નું આયોજન : તિરંગા યાત્રામાં ૨૫,૦૦૦ થી વધુ લોકો ઉત્સાહભેર જોડાશે

પોલીસ બેન્ડ, વિવિધ શાળાઓના બેન્ડ, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથેની આ તિરંગા યાત્રા ભાવનગર શહેરની યાદગાર યાત્રાઓ પૈકીની એક બની રહેશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર:આઝાદી કા અમૃત મહોત્સવ' અંતર્ગત સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.ગુજરાતમાં પણ તે અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અન્વયે ભાવનગરમાં પણ આવતીકાલે બપોરે ૪-૩૦ કલાકે ભવ્યાતિભવ્ય 'તિરંગા યાત્રા' યોજાવા જઈ રહી છે.
આ 'તિરંગા યાત્રા'ને યાદગાર બનાવવા માટે શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી, શહેરી વિકાસ મંત્રી વિનોદભાઈ મોરડીયા, વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા સહિતના મહાનુભાવો આ 'તિરંગા યાત્રા'માં સહભાગી થશે.
આ ઉપરાંત સાંસદ શ્રીમતી ડૉ.ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સુશ્રી વિભાવરીબેન દવે, મેયરશ્રી શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયા સહિતના સ્થાનિક ધારાસભ્યઓ અને શહેરના ગણમાન્ય નાગરિકો પણ જોડાશે.
આ તિરંગા યાત્રા એ.વી.(ધનેશ મહેતા) સ્કૂલના મેદાનથી પ્રારંભ થઈ નવાપરા, હલુરીયા ચોક, ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ઘોઘા ગેટ, કાર ગેટ, મામા કોઠા, બાર્ટન લાઇબ્રેરી, હલુરીયા ચોક થી પરત એ.વી.સ્કૂલ પરત ફરશે.
આ 'તિરંગા યાત્રા'માં અંદાજે ૨૫,૦૦૦ થી વધુ લોકો ઉત્સાહભેર જોડાશે. આ યાત્રામાં ચાર જગ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ કરતાં સ્ટેજ પણ બનાવવામાં આવશે.
આ યાત્રામાં રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ, બિલ્ડર એસોસિએશન, ડાયમંડ એસોસિએશન સહિતના વિવિધ એસોસિએશન પોતાના ડ્રેસ કોડ સાથે જોડાશે. 
પોલીસ બેન્ડ, વિવિધ શાળાના બેન્ડ આ પ્રસંગે રાષ્ટ્રગીતોની સંગીતમય પ્રસ્તુતિ પણ રજૂ કરશે. આ યાત્રા ભાવનગરના ઇતિહાસની એક અદભુત અને અપ્રતિમ યાત્રા બની રહેવાની છે.
રાષ્ટ્ર પ્રત્યેની ભાવના રજૂ કરતી આ યાત્રામાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાય તે માટે કલેકટરશ્રી અને ઇન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર યોગેશ નિરગુડેએ અનુરોધ કર્યો છે.

(8:32 pm IST)