Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

જામજોધપુર અને શેઠવડાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી પકડાયેલા રૂ. ૩પ.૭૮ લાખના દારૂ ઉપર ફેરવાયું બુલડોઝર

જામનગર તા. ૧ર :.. જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જામજોધપુર પોલીસ સ્ટેશન તેમજ શેઠવડાળા પોલીસ સ્ટેશન હેઠળના અલગ અલગ ગુન્હાઓમાં પકડાયેલા રૂ. ૩પ.૭૮ લાખની કિંમતના ઇંગ્લીશ દારૂના વિશાળા જથ્થાનો આજે નાશ કરવામાં આવ્યો હતો અને પોલીસ અધિકારી તેમજ નશાબંધી ખાતાના અધિકારીઓની હાજરીમાં વિશાળ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવાયું હતું.

જામજોધપુર પોલીસના હેઠળના વિસ્તારમાંથી તા. ૧૬-૧૦-ર૦૧૮ થી તા. ૩૧-૧ર-ર૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન જુદા જુદા વિસ્તારમાં ઇંગ્લીશ દારૂ અંગે દરોડાઓ પાડવામાં આવ્યા હતા અને ૭૦પ૬ નંગ ઇંગ્લીશ દારૂની બાટલીનો જથ્થો પકડવી પાડવામાં આવ્યો હતો તે જ રીતે શેઠવડાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી રૂ. પ૦૬૦૦ ની કિંમતનો ૯૧ નંગ ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

ઉપરોકત કુલ ૩પ.૭૮ લાખની કિંમતના ઇંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને જામનગર ગ્રામ્યના ડીવાયએસપી ઉપરાંત એસ. ડી. એમ. લાલપુર નશાબંધી શાખાના અધિકારી તથા બંને પોલીસ સ્ટેશનના પી. એસ. આઇ. અને અન્ય પોલીસ કર્મચારીઓની હાજરીમાં આજે બપોરે જામજોધપુરની ગૌશાળા નજીક આવેલી સરકારી જગ્યામાં બુલડોઝર ફેરવી દઇ નાશ કરવામાં આવ્યો હતો.

(11:23 am IST)