Gujarati News

Gujarati News

News of Saturday, 13th February 2021

સણોસરા દાનેવ આશ્રમે રવિવારે પરમ ધર્મસંસદ

જગદગુરૂ શ્રી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજીના આશિષ સાથે પ્રદેશ સંમેલન

ભાવનગર તા.૧૩ : ભાવનગર જિલ્લાના શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં રવિવારે જગદગુરુ શંકરાચાર્ય સ્‍વામી શ્રી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી મહારાજના આશિષ સાથે પરમ ધર્મસંસદ ૧૦૦૮ ગુજરાત પ્રદેશ સંમેલન યોજાશે, જેમાં સંતો અને વિદ્વાનો જોડાનાર છે.

રવિવારે શ્રી દાનેવ આશ્રમ સણોસરા ખાતે મહંત શ્રી નિરુબાપુ ગુરૂ શ્રી વલકુબાપુના સાનિધ્‍ય સાથે શારદાપીઠના દંડીસ્‍વામી શ્રી સદાનંદ સરસ્‍વતીજી મહારાજ તથા જયોતિષપીઠના પ્રવર ધર્માધીશ સ્‍વામી શ્રી ૧૦૦૮ અવિમુકતેશ્વરાનંદ સરસ્‍વતીજી મહારાજની પ્રેરણા સાથે પરમ ધર્મસંસદ યોજાશે.

પરમધર્માધીશ જગદગુરુ શંકરાચાર્ય  સ્‍વામી શ્રી સ્‍વરૂપાનંદ સરસ્‍વતીજી મહારાજના આશિષ સાથેના આ ધર્મસંસદ આયોજનમાં સંતો અને વિદ્વાનો જોડાનાર છે. અહીંયા શ્રી નિરૂબાપુની ધર્મસેવા સંદર્ભે વિશેષ પદવી સન્‍માન એનાયત થનાર છે.

રવિવાર તા.૧૪ના સવારે યોજાનાર આ ધર્મસંસદ સંમેલન આયોજનમાં જગ્‍યાના  પ્રવિણદાસજી મહારાજ સાથે વિક્રમગીરીજી મહારાજ અને  ભક્‍તિગિરિજી માતાજી રહ્યા છે.

(10:48 am IST)