Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જામનગર ટાઉનહોલ ખાતે નિરામય ગુજરાત કાર્યક્રમની ઉજવણી કરાઈ

કાર્યક્રમના સ્થળે દસ જેટલી આરોગ્ય સેવાઓ નાગરિકોને વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવાઈ

 જામનગર,તા.૧૩ :  સ્વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્યક્ષઆઇ.કે. જાડેજાના અધ્યક્ષ સ્થાને શહેરના ટાઉનહોલ ખાતે નિરામય ગુજરાત દિવસના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ  પ્રસંગે  આઈ.કે.જાડેજાએ જણાવ્યું હતું કે, સ્વસ્થ ભારતના પાયામાં વ્યકિતનું સ્વાસ્થ્ય અંગેનું સ્વ ચિંતન અને જાગૃતિ છે તેથી જો વ્યકિત સ્વયં પોતાના આરોગ્યની ચિંતા કરશે અને આરોગ્ય વિભાગ તેમાં સહભાગી થશે તો જ સ્વસ્થ સમાજનું નિર્માણ થઈ શકશે. વ્યકિત પોતે જાગૃત બને, પરિવાર જાગૃત બને તો આરોગ્યલક્ષી અનેક ફાયદાઓ મેળવી શકાય છે. સ્વસ્થ સમાજના નિર્માણ માટે રાજ્ય સરકારે માતાઓ, બાળકો તથા વડીલોના આરોગ્યની જાળવણી થાય તેની કાળજી લીધી છે. આ કાર્યક્રમ પૂર્વ તપાસ અને યોગ્ય સારવાર વડે બીમારીને આગળ વધતી અટકાવવામાં મદદરૂપ બનશે. આ તકે મંત્રીશ્રીએ સમગ્ર કાર્યક્રમ નિહાળી તેની સુચારૂ વ્યવસ્થા તેમજ સુંદર આયોજન બદલ જામનગર મહાનગરપાલિકા તથા મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીને અભિનંદન પાઠવ્યા હતા તેમજ લાભાર્થીઓને હેલ્થ આઇડી કાર્ડ, નીરામય કાર્ડ તથા પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન કોઠારીએ જણાવ્યું હતું કે ''પહેલું સુખ તે જાતે નર્યા'' તેની સરકારે ચિંતા કરી છે. લોકોને રોગ થાય તે પહેલાં જ તેની જાણકારી મળી જાય તે માટેની કાળજી સરકાર દ્વારા લેવાઇ રહી છે જેના થકી લોકોનું આરોગ્ય જળવાશે તેમજ દવાના ખર્ચમાંથી મુકિત મળશે આ તકે મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડીએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું તેમજ ઉપસ્થિત સૌ કોઈએ પાલનપુર ખાતેથી મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલ રાજય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે નિર્મળ ગુજરાત કાર્યક્રમ હેઠળ હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, મોઢા-સ્તન તથા ગર્ભાશયના મુખનું કેન્સર, કિડનીની બીમારી, પાંડુ રોગ (એનિમિયા), કેલ્શિયમની ઉણપ સહિતની બીમારીઓને આવરી લેવાઇ છે જે માટે જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા ટાઉનહોલના પરિશરમાં સર્જરી વિભાગ, સ્ત્રી રોગ વિભાગ, લેબોરેટરી વિભાગ, ચામડી રોગ વિભાગ, કાન-નાક-ગળા વિભાગ, દાંત વિભાગ, આયુષ્યમાન ભારત કાર્ડ વિભાગ, આયુર્વેદ વિભાગ, દવા વિભાગ સહિતની વ્યવસ્થા નાગરિકો માટે વિનામુલ્યે ઉપલબ્ધ કરાવાઇ હતી.

આ પ્રસંગે મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયરતપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનમનીષભાઈ કટારીયા, શહેર અધ્યક્ષવિમલભાઈ કગથરા, મ્યુનિસિપલ કમિશનરવિજય ખરાડી, દંડક કેતનભાઈ ગોસરાણી, શાસક પક્ષના નેતા શ્રીમતી કુસુમબેન પંડ્યા, નાયબ કમિશનર વસાણી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડો.ભાર્ગવ ડાંગર, સીટી મામલતદાર જહાનવીબા જાડેજા સહિત શહેરના પદાધિકારીઓ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં લાભાર્થી શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:58 pm IST)