Gujarati News

Gujarati News

News of Wednesday, 14th April 2021

સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ

૧૪૫૦ બેડ ધરાવતી જામનગરની જીજી હોસ્પિટલ આખી ફુલ

મોરબી, રાજકોટ અને જુનાગઢના દર્દીઓ પણ જામનગર આવતા દર્દીઓ જગ્યા ના મળવાથી આમથી તેમ ભટકવા માટે મજબૂર : સૌરાષ્ટ્રમાં પણ સર્જાઈ અમદાવાદ અને સુરત જેવી જ ખતરનાક સ્થિતિ : રાજકોટ બાદ હવે જામનગરમા પણ કોરોનાનો રાફડો ફાટતા લોકો ચિતાજન્ક સ્થિતિમાં મૂકાયાઃ ગુરુ ગોબિંદસિંહ હોસ્પિટલમાં એકેય બેડ ખાલી ના હોવા છતા લોકોને મોકલવાનું ચાલુ રખાતા કફોડી હાલત

જામનગર તા. ૧૪ : અમદાવાદ, સુરત સાથે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાની સ્થિતિ ગંભીર બની રહી છે. રાજકોટમાં એક તરફ મોટાભાગની હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે, ત્યારે જામનગરની સૌથી મોટી જીજી હોસ્પિટલ પણ દર્દીઓથી ભરાઈ ગઈ છે. આજે સવારે હોસ્પિટલના સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તમામ ૧૪૫૦ બેડ ફુલ હોવાથી કોઈ નવા દર્દીને દાખલ કરી શકાય તેમ નથી.જામનગરમાં માત્ર શહેરના જ નહીં, પરંતુ મોરબી, રાજકોટ, જુનાગઢ તેમજ અમરેલી જિલ્લાના દર્દીઓને પણ લાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં હવે જગ્યા નથી, પરંતુ દર્દીઓનો પ્રવાહ યથાવત રહેતા હવે તંત્ર પણ મૂંઝવણમાં મૂકાયું છે. ગઈકાલે માત્ર જામનગર શહેરમાં જ ૧૮૭ કેસો સામે આવ્યા હતા. બીજી તરફ, રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના હોસ્પિટલમાં એડમિટ લોકોમાંથી ૫૫ લોકોના મોત થયા હતા. કુલ ૪૮ કલાકમાં જ રાજકોટમાં કોરોનાથી ૧૧૪ લોકોનાં મોત થયા છે.

સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ જેવા મોટા સેન્ટર્સમાં સ્થાનિક ઉપરાંત બહારના દર્દીઓ પણ મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાથી અફરાતફરી મચી છે. ગઈકાલે રાજકોટમાં પણ રેકોર્ડબ્રેક ૫૨૯ નવા કેસ નોંધાયા હતા. રાજયના અન્ય શહેરોમાં જેવી સ્થિતિ જોવા મળી રહી છે, તેમાંથી રાજકોટ, સૌરાષ્ટ્ર કે જામનગર પણ બાકાત નથી. અહીં પણ હોસ્પિટલો આગળ એમ્બ્યુલન્સની લાઈનો લાગી રહી છે, અને સ્મશાનગૃહોમાં પણ વેઈટિંગ ચાલી રહ્યા છે.સૌરાષ્ટ્રમાં ગઈકાલે નોંધાયેલા કેસની વાત કરીએ તો, રાજકોટ કોર્પોરેશનમાં ગઈકાલે ૫૨૯, જામનગર શહેરમાં ૧૮૭ નવા કેસ નોંધાયા હતા. અમરેલી જિલ્લામાં પણ ગઈકાલે ૯૭ કેસ નોંધાતા હવે અમરેલી પણ ૧૦૦નો આંક વટાવવાથી માત્ર ત્રણ જ કેસ દૂર છે. સૌરાષ્ટ્રમાં શહેરી વિસ્તારો ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજકોટ ગ્રામ્યામં ગઈકાલે ૮૭ કેસ નોંધાયા હતા, જે અમદાવાદ ગ્રામ્યથી પણ વધારે છે.ભાવનગર શહેરમાં પણ ગઈકાલે ૮૧ કેસો નોંધાયા હતા, જયારે જુનાગઢ શહેરન આંકડો ૬૫ પર રહ્યો હતો. સુરેન્દ્રનગરમાં ૧૩ એપ્રિલના રોજ ૫૫, જુનાગઢ ગ્રામ્યમાં ૪૮, ભાવનગર ગ્રામ્યમાં ૪૭ કેસ નોંધાયા હતા. જયારે દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે ૨૭, ગીર સોમનાથમાં ૨૩, બોટાદમાં ૧૬, પોરબંધરમાં ૮ નવા કેસ નોંધાયા હતા.

(3:38 pm IST)