Gujarati News

Gujarati News

News of Wednesday, 14th July 2021

મોરબીમાં ઓરડીમાંથી મળેલ મહિલા-પુરૂષનાં મૃતદેહથી રહસ્યના આટાપાટા

મૃતક મહિલા પરણીત હતી અને ૨૦૧૯ થી ગુમ હતી

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૪ :  મોરબીના સામાકાંઠે એક ઓરડીમાંથી મહિલા અને પુરુષનો મૃતદેહ મળી આવ્યા બાદ પોલીસે તપાસ ચલાવી હતી જેમાં મૃતક મહિલાના પિતાની ફરિયાદને આધારે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે ફરિયાદમાં મહિલાને ગળેટુંપો દઈને હત્યા ર્ક્યા બાદ પુરુષે આપઘાત કર્યાનું જણાવ્યું છે

 પોરબંદર જીલ્લાના રહેવાસી વિરમભાઇ ભીમાભાઇ ખરાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેની દીકરી લલીતા જયંતીભાઈ સાગઠીયા જામનગરથી વર્ષ ૨૦૧૯ થી ગુમ હોય અને તે હાલ મોરબીના ભારતનગરમાં અનીલ ગાંડુભાઈ રાઠોડ સાથે રહેતી હોય ફરિયાદીની દીકરી લલીતાને આરોપી અનીલ ગાંડુભાઈ રાઠોડ કોઈ કારણોસર ગળેફાંસો આપી મારી નાખીને પોતે પણ આપઘાત કરી લીધો હોય તેવી ફરિયાદ નોંધાવી છે બી ડીવીઝન પોલીસે મૃતક મહિલાના પિતાની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

 મૃતક મહિલાના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેની દીકરી લલીતાના લગ્ન સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામના કાનભાઈ સાગઠીયા સાથે જ્ઞાતિના રીવાજ મુજબ થયા હતા અને તે જામનગરના સાત રસ્તા ગુરુદ્વારા પાસે રહેતા હતા અને એક દીકરીનો જન્મ થયો હોય બાદમાં ગત તા. ૦૬-૦૯-૨૦૧૯ માં રોજ જમાઈએ ફોન કરીને જણાવ્યું હતું કે લલીતા ઘરેથી પાણી ભરવાનું કહીને ગયા બાદ આવી નથી અને શોધખોળ કરવા છતાં મળી આવી નથી જેથી જામનગર પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં પરિણીતા ગુમ થયાની ગત તા. ૧૧-૦૯-૨૦૧૯ ના રોજ જાણ કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું

 મૃતક મહિલા પહેલેથી પરિણીત હોય અને તેને સંતાન હોવાનું પણ પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે ત્યારે મોરબી ખાતે રહેતા આરોપી અનીલ ગાંડુભાઈ રાઠોડ સાથે મહિલાએ લગ્ન કર્યા હતા કે પછી લગ્ન વિના જ તેની સાથે રહેતી હતી તે તપાસનો વિષય છે

 મહિલાની હત્યા કરી પુરુષે આત્મહત્યા કરી કે પછી અન્ય કાઈ ?

મોરબીમાં આપઘાતનો બનાવ રહસ્યથી ભરપુર છે કારણકે મહિલાની હત્યા કરી બાદમાં પુરુષે આપઘાત કર્યાની પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ ચલાવી છે જોકે ખરેખર મહિલાની હત્યા કર્યા બાદ પુરુષે આપઘાત કર્યો હતો કે બંનેએ સજોડે આપઘાત કર્યો તે હજુ સ્પષ્ટ થયું નથી તો પોલીસે વિશેરા લઈને ફોરેન્સિક પીએમ માટે મોકલ્યા છે જે ફોરેન્સિક પીએમ રીપોર્ટ આવ્યા બાદ જ બનાવ હત્યાનો છે કે પછી આપઘાતનો તે સ્પષ્ટ થશે.

(11:38 am IST)