Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પોરબંદરના રાણારોજીવાડામાં કુવામાં નહાવા પડેલા યુવાનનું ડુબી જવાથી મોત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧૪ : તાલુકાના રાણારોજીવાડામાં ૩ મિત્રો સાથે કુવામાં નહાવા પડેલ યશવંત અરવિંદભાઇ રાઠોડ (ઉ.વ.૧૮)નું ડુબી જવાથી મોત નિપજયું હતું. અન્ય ૩ મિત્રો બચી ગયેલ છે.

રાણારોજીવાડા ગામે બપોરે યશવંત અરવિંદભાઇ રાઠડ (ઉ.વ.૧૮) તેમના ત્રણ મિત્રો સાથે વાડીના કુવામાં નહાવા ઉતરેલ જે કુવો ૯૦ ફુટ ઉંડો છે જેમાં એસી ફૂટ સુધી પાણી ભરેલું હતું અને યશવંતને પાણીમાં તરતા આવડતું ન હોવાથી ડૂબવા લાગેલ જેથી તેના મિત્રો ગભરાઇ ગયેલ પણ એસી ફુટ પાણી ભરેલું હોવાથી તેમના મિત્રોએ રાડારાડી કરતા આસપાસના વાડી વિસ્તારના ખેડૂતો દોડી આવેલ, પરંતુ કુવામાં પુષ્ફળ પાણી હોવાથી ગામમાંથી તરવૈયાઓને બોલાવેલ અને રાણારોજીવાડા ગામના સરપંચ દિલીપભાઇ નકુમ તાત્કાલીક દોડી આવેલ અને યશવંતની કોઇ ભાળ ન મળતા તાત્કાલીક કુવા ઉપર ૩-સબમર્શીબલ મોટર ચાલુ કરી કુવા ઉલેચવાનો ચાલુ કરેલ.

પોરબંદરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ દોડી આવેલ સાથે બગવદર પોલીસ સ્ટાફ પણ દોડી આવેલ અને પાણી ઉલેચાતા યશવંતનો મૃતદેહ મળી આવેલ અને પોરબંદર ભાવસિંહજી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવેલ. આ બનાવ બનતા યશવંતના પિતા અરવિંદભાઇ મોહનભાઇ રાઠોડને સંતાનમાં એક દીકરો યશવંત અને એક સગીર દીકરી છે. યશવંતના મોતથી તેમનો પરિવાર ભાંગી પડેલ છે. રાણારોજીવાડા ગામ તેમજ આજુબાજુના ગામોમાં આ બનાવથી અરેરાટી વ્યાપી ગયેલ છે.

(9:54 am IST)