Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

હળવદથી માળીયા જતા નવદંપતીની કાર કેનાલમાં ખાબકી : પરિણીતાનો મૃતદેહ મળ્‍યો

જુના અને નવા ઘાટીલા વચ્‍ચે મંદરકીના નાલા પાસે આજે બનેલી ઘટના પતિની શોધખોળ

(દીપક જાની દ્વારા)  હળવદ, તા. ૧પ :   તાલુકા ના અજિતગઢથી માળીયા તરફ કેનાલના રસ્‍તે જઈ રહેલ અજિતગઢના નવદંપતિની સ્‍વીફ્‌ટ કાર જુના અને નવા ઘાટીલા વચ્‍ચે મંદરકીના નાલા નજીક કેનાલમાં ખાબકતા પરિણીતાનું મળત્‍યુ નીપજ્‍યું છે. જ્‍યારે પતિનો હજુ સુધી પતો મળ્‍યો ન હોય સ્‍થાનિક તરવૈયાઓની મદદ લેવાઈ છે.આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્‍યાપી જવા પામી છે.
બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર (આહીર) ઉંમર વર્ષ ૨૨ અને તેમના ધર્મ પત્‍ની મિતલબેન રાહુલ ભાઈ આહીર આજે હળવદ તાલુકા ના અજીતગઢ ગામેથી સ્‍વીફ્‌ટ કારમાં માળીયા તરફ જવા નીકળ્‍યા હતા ત્‍યારે જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા પાસે પસાર થતી વેળાએ માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં તેઓની સ્‍વીફટ કાર ખાબકી હતી. ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો હાલ કેનાલમાં શોધખોળ કરી રહ્યા છે જોકે હાલમાં મિતલબેનના મળતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્‍યો છે જ્‍યારે રાહુલભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.
વધુમાં બનાવની જાણ થતા જ આજુબાજુના ગામના ગ્રામજનો તેમજ ટીકર જિલ્લા પંચાયતના સદસ્‍ય ધર્મેન્‍દ્ર ભાઈ એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિત મોટી સંખ્‍યામાં લોકો કેનાલ કાંઠે દોડી આવ્‍યા છે અને હાલ રાહુલભાઈની શોધખોળ કરવામાં આવી રહી છે.

 

(2:06 pm IST)