News of Monday, 15th February 2021
રાજકોટ તા. ૧૫: જેતપુરના અમરનગરમાં સોમનાથ ગીરથી ભત્રીજાના લગ્નમાં આવેલા દેવીપૂજક યુવાન દિલીપ ઉર્ફ દિલાને તે ઘર નજીક સ્ટેન્ડ પોસ્ટ પર ન્હાવા બેઠો હતો ત્યારે તેની પત્નિ સંતાનોની નજર સામે જ તેના પડોશમાં રહેતાં રમેશ ઉર્ફ રમકુ ખાંટે કોયતા સાથે આવી 'તારા કારણે મારા ભાઇએ આપઘાત કર્યો હતો, આજે તો તને મારી જ નાંખીશ...એવી બૂમો પાડી ઘા ઝીંકી ક્રુરતાથી પતાવી દેતાં ચકચાર મચી ગઇ છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે. જુના મનદુઃખમાં આ લોથ ઢળી હતી.
આ બનાવમાં જેતપુર તાલુકા પોલીસે હત્યાનો ભોગ બનનાર અમરનગરના દિલીપ ઉર્ફ દિલા ધીરૂભાઇ વાઘેલા (ઉ.વ.૩૫)ની પત્નિ દેવકુબેન વાઘેલાની ફરિયાદ પરથી તેના જ પડોશી અમરનગરમાં રહેતાં રમેશ ઉર્ફ રમકુ રણછોડભાઇ મુળીયા, તેની પત્નિ પૂજા રમેશ અને માતા શારદા રણછોડભાઇ મુળીયા સામે આઇપીસી ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪, ૧૩૫ મુજબ હત્યાનો ગુનો નોંધ્યો છે.
દેવકુબેને ફરિયાદમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. હું અને મારા પતિ તથા બાળકો અમરનગરથી ગીર સોમનાથ મંદિર આસપાસ ભીક્ષા માંગી ફૂટપાથ પર રહી ગુજરાન ચલાવતાં હતાં. લીલા નારીયેળ પણ ત્યાં વેંચતા હતાં. અમરનગરમાં મારા કાકાજી રમુ પાંચાભાઇ વાઘેલાના પુત્ર વિશાલના ૧૫-૨, ૧૬-૨ના રોજ લગ્ન હોવાથી અમે શનિવારે અમરનગર આવ્યા હતાં. અનમરનગર સરકારી હોસ્પિટલ પાસે અમારુ જુનુ મકાન છે.
રવિવારે બપોરે પંચાયતના નળમાં પાણી આવતા અને સ્ટેન્ડ પોસ્ટ અમારા ઘરની સામેની સાઇડ હોઇ મારા પતિ દિલીપ ઉર્ફ દિલો ત્યાં નહાવા ગયેલ. તે પેન્ટ પહેરીને બેઠા બેઠા નહાતા હતાં ત્યારે હું બાજુમાં કપડા ધોવા બેઠી હતી. બાળકો ત્યાં નજીકમાં રમતા હતાં. બીજા પડોશીઓ પોત પોતાના ઘરની આજુબાજુમાં બેઠા હતાં. એ વખતે ઓચીંતા જ અમારી બાજુમાં રેહતો રમેશ ઉર્ફ રમકુ રણછોડભાઇ મુળીયા (ખાંટ) લોખંડનો ધારવાળો કોયતો લઇને આવ્યો હતો અને મારા પતિને માથા પાછળના ભાગે ઘા મારી દેતાં તે જમીન પર પડી ગયેલ. એ પછી રમકુએ કોયતાના બીજા ઘા ખભા, હાથ પર માર્યા હતાં અને ગાળો બોલતો બોલતો કહેતો હતો કે-'મારો ભાઇ ઉમેશ તારા ત્રાસને લીધે દવા પી મરી ગયો છે, હું તમને બધાને મારી નાંખીશ'...ત્યારબાદ તેણે છુટા કોતાનો ઘા મારા તરફ કરતાં હું દૂર ખસી ગઇ હતી. એ પછી હું અને મારી દિકરી ક્રિષ્ના રમકુને પકડવા જતાં રમકુની પત્નિ પૂજા અને તેની માતા શારદાબેન આવી ગયેલ અને અમને ધક્કા મારી પછાડી દીધા હતાં.
અમે રાડારાડ કરતાં બીજા લોકો આવી જતાં રમકુ ભાગ્યો હતો અને જતાં જતાં તેની પત્નિ અને માતાને કોયતો લઇને તમે પણ ભાગો...તેમ કહેતો ગયો હતો. પણ અમે આડા ઉભા રહી જઇ આ સાસુ-વહુને કોયતો લેવા દીધો નહોતો. એ પછી એ બંને પણ ભાગી ગયેલ. મારા પતિ દિલીપ ઉર્ફ દિલો રોડ પર લોહીલુહાણ પડેલ હોઇ અને કંઇ બોલતા ન હોઇ ૧૦૮ બોલાવી હતી. તેના ડોકટરે તેને મૃત જાહેર કરતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ લઇ ગયેલ છે.
દેવકુબેને વધુમાં કહ્યું હતું બે બે વર્ષ પહેલા રમેશ ઉર્ફ રમકુના મોટા ભાઇ ઉમેશ રણછોડભાઇ મુળીયાએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. તે એવું માનતો હતો કે ઉમેશે મારા પતિ દિલીપના ત્રાસથી આપઘાત કર્યો છે. તે બાબતનો ખાર રાખી તેણે મારા પતિની હત્યા કરી છે. તેમ વધુમાં દેવકુબેને કહેતાં જેતપુર તાલુકા પીએસઆઇ પી. જે. બાટવાએ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા દોડધામ આદરી છે.
હત્યાનો ભોગ બનનાર દિલીપ ઉર્ફ દિલો છ ભાઇ અને ચાર બહેનમાં મોટો હતો. તેની હત્યાની પાંચ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો છે. આજે જે માંડવે ભત્રીજાના લગ્નના ગીત ગાવાના હતાં ત્યાં કાકાના મરશીયા ગવાયા હતાં.
હત્યાનો ભોગ બનનારનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. પોલીસે આરોપીઓને ઝડપી લેવા દોડધામ શરૂ કરી છે.
આપઘાત કરનાર ઉમેશની પત્નિ સાથે હત્યાનો ભોગ બનનારના ભત્રીજાને લફરૂ હતું
. હત્યાનો ભોગ બનનાર દિલીપના સગાએ કહ્યું હતું કે બે વર્ષ પહેલા આરોપી રમેશ ઉર્ફ રમકુના ભાઇ ઉમેશે આપઘાત કર્યો હતો. ઉમેશની ઘરવાળી સાથે દિલીપના એક ભાઇ નનુના છોકરાને લફરૂ હતું. તે બાબતે એ વખતે માથાકુટ થઇ હતી અને સમાધાન થઇ ગયું હતું. પણ ઉમેશે આપઘાત કર્યો હોઇ તેમાં દિલીપે ભાગ ભજવ્યો હોવાની શંકા રમેશ ઉર્ફ રમકુને હોઇ તેના કારણે લગ્ન પ્રસંગના આગલા દિવસે જ તેની હત્યા કરી નાંખી હતી.