Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

પોરબંદર કાંઠે સંભવિત વાવાઝોડા સામે તકેદારી માટે વહીવટી તંત્ર સજ્જ : બંદર કાંઠે ર નંબરનું સિગ્નલ

દરિયાકાંઠે માછીમારોને અવરજવર નહીં કરવા તથા દરિયો નહીં ખેડવા ચેતવણી : માધવપુર કાંઠે દરિયાઇ એજન્સી દ્વારા હેલીકોપ્ટર દ્વારા સાઇરન વગાડીને માછીમારોને એલર્ટ કરાયા

(પરેશ પારેખ, સ્મીત પારેખ દ્વારા)  પોરબંદર, તા. ૧પ :  દરિયાકાંઠે ''તૌકતે'' વાવાઝોડાની સંભવિત અસરો સામે તકેદારી માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ થયું છે. બંદર કાંઠે ર નંબરનું સિગ્નલ ચઢાવીને માછીમારોને દરિયો નહીં ખેડવા ચેતવણી અપાઇ છે. ગઇકાલે સાંજે ૧ નંબરનું સિગ્નલ ચઢાવેલ તે આજે સવારે ઉતારીને તેના સ્થાને ર નંબરનું ચઢાવી દેવામાં આવ્યું છે. માધવપુર ઘેડ કાંઠે દરિયાઇ એજન્સી દ્વારા હેલીકોપ્ટર દ્વારા સાઇરન વગાડીને માછીમારોને એલર્ટ કરાયા છે. માછીમારોને દરિયામાં ફિશીંગ માટે નહીં જવા ઉપરાંત કાંઠા વિસ્તારમાં  અવરજવર નહીં કરવા સુચના અપાઇ છે. દરિયાકાંઠાના ગામોમાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા જણાવ્યું છે.

''તૌકતે'' સાયકલોનની સંભવિત અસરોને પહોંચી વળવા પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ થઇ ગયું છે. જિલ્લા કલેકટર   અશોકભાઇ શર્માના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની મિટિંગ યોજાઈ હતી અને પોરબંદર જિલ્લાની દરિયામાં રહેલી બોટોને પરત લાવવા કાર્યવાહી હાથ ધરાઈ છે. દરેક તાલુકામાં  અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરાઈ. રાઉન્ડ ધ કલોક કંટ્રોલ શરૂ, નીચાણવાળા વિસ્તારોના લોકોનું સ્થળાંતર, વીજ પુરવઠો, દવાઓ, બચાવ અને રાહત કામગીરી કરવાની થાય તો તેનું આયોજન  હાથ ધરાયુ છે.

તૌકતે સાયકલોનને કારણે કોઈ જાન માલની નુકસાની ન થાય તે માટે જિલ્લા કલેકટર  દ્વારા વિવિધ વિભાગોને જરૂરી સૂચન તથા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.

જિલ્લા વિકાસ અધિકારી વી.કે. અડવાણી, પોલીસ અધિક્ષક રવિ મોહન સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી મીટિંગમાં પોરબંદર જિલ્લાની દરિયામાં રહેલી બોટો પરત આવી જાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓએ કરવાની થતી કાર્યવાહી નું માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા કલેકટર ની સૂચના અનુસાર તંત્ર દ્વારા દરેક તાલુકા કક્ષાએ  અધિકારીઓની લાયઝન ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવી છે.તેમજ જિલ્લા તથા તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યો છે.

હવામાન વિભાગ દ્વારા તેમજ સરકાર  દ્વારા વખતોવખત આવતી સૂચનાઓ અને તાત્કાલિક અમલવારી કરી શકાય અને પરિસ્થિતિની  અનુરૂપ તાત્કાલિક પગલાં લઈ શકાય તે માટે સ્થાનિક પંચાયત તથા મહેસૂલના અધિકારીઓને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરવા સૂચના અપાઈ છે. જરૂર જણાયે નીચાણવાળા વિસ્તારોમાં વસતાં લોકોને સલામત સ્થળોએ ખસેડવા તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.તેમજ આરોગ્ય વિભાગને પૂરતો દવાનો જથ્થો ઉપલબ્ધ રાખવા.વીજ પુરવઠો ન ખોરવાય તેમજ તેને લગત આનુસંગિક વ્યવસ્થાઓ હાથ ધરવા પી.જી.વી.સી.એલ.ને સૂચિત કરાયું છે. પોરબંદર જિલ્લાના લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકાર  તરફથી તેમજ તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓ ખાસ કરીને દરિયા કાંઠે રહેતા લોકો અને માછીમારોને જરૂરી તકેદારી રાખવા, દરિયામાં ન જવા તેમજ તંત્ર તરફથી આપવામાં આવતી સૂચનાઓની અમલવારી કરીને કામગીરી કરવા, સલામત સ્થળે ખસી જવા તેમજ બિનજરૂરી રીતે બહાર ન નીકળવા જણાવવામાં આવ્યું છે.

(12:54 pm IST)