Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

તૌકતે વાવાઝોડાની સંભવીત અસરને પહોંચી વળવા જામનગર -જીલ્લામાં તંત્ર તમામ મોરચે તૈયારઃ જાનમાલનુ નુકસાન અટકાવવા લોકોનો સહયોગ ઇચ્છનિય : જિલ્લા કલેકટર રવિશંકર

તંત્ર દ્વારા ૨૪ * ૭ કંટ્રોલરૂમ, બચાવ અને રાહતની સામગ્રી સાથેવોર્ડ વાઇઝ તાંત્રિક ટીમો તથા ફાયર ટીમોનુ ગઠન, આશ્રય સ્થાનો સહિતની વ્યવસ્થાઓ પૂર્ણ કરાઈ - મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલ

જામનગર તા.૧૫: તૌકતે વાવાઝોડાની જિલ્લામાં થનારી સંભવિત અસરોને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનેક મોરચે તૈયારીઓ આરંભાઈ છે. જિલ્લામાં તૌકતે વાવાઝોડાની આગાહી સંદર્ભે માહિતી આપતા જિલ્લા કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું હતું કે, આ વાવાઝોડું આગાહી અનુસાર તા.૧૬થી ગુજરાતમાં પ્રવેશશે તથા તા.૧૭ અને તા.૧૮ વચ્ચે જામનગર જિલ્લામાં પ્રવેશ કરશે ત્યારબાદ જામનગર થી કચ્છ તરફ ફંટાઈ જશે.

જિલ્લા કલેકટર રવિશંકરે વાવાઝોડા દરમિયાન જિલ્લામાં જાનમાલની કોઈ નુકસાની ન થાય તેમજ લોકો સુરક્ષિત રહે તે માટે લોકોને અનુરોધ  કરતાં જણાવ્યું હતું કે, લોકો તકેદારીના ભાગરૂપે તંત્ર દ્વારા જે કંઈપણ સુચનાઓ આપવામાં આવે તેનું પાલન કરે, સાગરખેડુ મિત્રો હાલ દરિયામાં ન જાય તેમજ જે સાગરખેડુ ભાઈઓ દરિયામાં ગયા છે તેઓ સત્વરે પરત ફરે, વાવાઝોડા દરમિયાન વાયુનો તીવ્રથી અતિતીવ્ર વેગ રહેશે તેમજ સાથે-સાથે વરસાદ થવાની પણ શકયતા રહેલી છે આથી ખેડુતો તથા જિલ્લાની તમામ એ.પી.એમ.સી. ખુલ્લામાં રહેલ પાક જણસ સુરક્ષિત સ્થળે રાખવાની વ્યવસ્થા કરે. સ્થાળંતરની શકયતાઓ છે તેવા નીચાણવાળા વિસ્તારોના ૨૨ ગામો તંત્ર દ્વારા નક્કી કરવામાં આવ્યા છે. જેમાં વહીવટીતંત્ર તથા પોલીસની ટીમો તેમને જરૂર જણાયે સુરક્ષિત સ્થળે ખસેડશે. આ કાર્યવાહી દરમિયાન લોકો તંત્રને પોતાનો યોગ્ય સહયોગ આપે તે ઈચ્છનીય છે. મીઠાના અગરમાં કામ કરતા લોકો સુરક્ષિત સ્થળે ખસી જાય, જે લોકોની આસપાસમા જર્જરિત મકાન અથવા હોર્ડિંગ હોય તો તે દૂર કરવા સ્થાનિક પ્રશાસનને જાણ કરે, લોકો મીણબત્ત્।ી, બાકસ, ટોર્ચ તથા જીવનનિર્વાહની પ્રાથમિક ચીજો તૈયાર રાખે, જે દ્યરમાં નાના બાળકો, સગર્ભા બહેનો તથા વૃદ્ઘો છે તેઓ સુરક્ષિત સ્થળે રહી ડોકટરના સંપર્કમાં રહે. લોકોને જાનમાલનું નુકસાન અટકાવવા તા.૧૭થી વાવાઝોડાની અસર ઓછી ન થાય ત્યાં સુધી દ્યરમાં જ રહેવા જિલ્લા કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો તેમજ મીડિયા મારફતે પ્રસારિત થતાં સમાચારો પર નજર રાખવા જણાવ્યું હતું.

જામનગર મ્યુનિસિપલ કમિશનર સતિષ પટેલે જિલ્લા વહીવટીતંત્ર તથા જામનગર મહાનગરપાલિકા દ્વારા વાવાઝોડાની અસરને પહોચી વળવા કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવેલ છે તે અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, તંત્ર દ્વારા ૨૪* ૭ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે, બચાવ અને રાહતની સાધનસામગ્રી સાથે વોર્ડ વાઇઝ તાંત્રિક ટીમોનુ ગઠન કરવામાં આવેલ છે, ફાયર ટીમોને એલર્ટ કરવામાં આવેલ છે, ભયજનક મકાનો ધરાવતા લોકોને સલામત સ્થળે ખસી જવા વ્યકિતગત નોટિસ આપવામાં આવી છે, વરસાદ દરમિયાન વધુ પાણી ભરાવાની શકયતા છે તેવા વિસ્તારના લોકો માટે શાળાઓ તથા આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે, વાવાઝોડા દરમિયાન જો  લાંબાગાળા માટે વીજ પ્રવાહ ખોરવાય તો કોવિડ હોસ્પિટલો તથા ખાનગી હોસ્પિટલોને વીજપ્રવાહની વૈકલ્પિક વ્યવસ્થા કરવા તંત્ર દ્વારા સૂચના અપાઇ છે.

(1:06 pm IST)