Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

ભેસાણના ભાજપના અગ્રણીના પુત્રના અધિકારી સહિત કોન્ટ્રાકટરોના ત્રાસથી આપઘાત પ્રકરણમાં તપાસનો ધમધમાટ

અગાઉ પણ મૃતક યુવાને આત્મહત્યાની કોશિષ કરેલ

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૫ : ભેસાણના ભાજપના અગ્રણીના પુત્ર અને કોન્ટ્રાકટર ધવલ કરશનભાઇ ડોબરીયા (ઉ.૩૫) નામના યુવાને એક અધિકારી અને કોન્ટ્રાકટરોના ત્રાસથી આપઘાત કરી મોતની સોડ તાણી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

ભેસાણના હરિપરા વિસ્તારમાં રહેતા ધવલભાઇ ડોબરીયાએ ગઇકાલે પોતાના ઘરે ઝેરી ટીકડા ખાય લેતા તાત્કાલિક જૂનાગઢ સિવિલમાં સારવારમાં ખસેડવામાં આવેલ પરંતુ તેનું મૃત્યુ થયું હતું.

આ યુવાને અગાઉ પણ આત્મહત્યાની કોશિષ કર્યાનું પણ જાણવા મળેલ છે. મરનાર પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાએ અને ભેસાણના પીએસઆઇ એ.ડી.વાળાએ અકિલા સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવેલ કે, ધવલ ડોબરીયાએ આપઘાત કરેલ છે તેના કેસ પેપરના આધારે આગળની કાર્યવાહી માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ધવલભાઇએ બે વર્ષ અગાઉ રાજકોટની શ્રીજી કૃપા પ્રોજેકટ પ્રા.લિ. નામની કન્સ્ટ્રકશન કંપની પાસેથી રાજકોટના પિયુષ ઉર્ફે પિન્ટુ પાનસુરીયા મારફત પિન્ટુની સાથે પેટા ભાગીદારીમાં રૂડા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજના, જુના સરકારી કામનો કોન્ટ્રાકટ રાખેલ જેમાં રૂ. ૪ કરોડનું રોકાણ કરેલ પરંતુ આ નાણા ફસાય જતાં ગઇકાલે ડિપ્રેશનને લઇ તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળેલ છે.

ધવલ ડોબરીયાની કથિત સ્યુસાઇડ નોટમાં શ્રીજી કન્સ્ટ્રકશન કંપનીના માલિક સુમનભાઇ ધરસાણી, રૂડાના કાર્યપાલક ઇજનેર કમલેશ ગોંડલીયા તેમજ સંદિપ ગમઢા, સંજય સાકરીયા અને મયુરભાઇ તેમજ પિયુષ વલ્લભભાઇ પાનસુરીયા સહિત છ વ્યકિતનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળે છે.

જેમાં આ લોકો મારા રૂપિયા ખાઇ ગયા છે માટે આપઘાત કરૃં છું તેમ જણાવ્યું હોવાનું જાણવા મળેલ છે.

(1:11 pm IST)