Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

નિકાવાની ગોળાઇમાં કાર પલ્‍ટી ખાઇ જતાં ૭ વર્ષના બાળકનું મોતઃ છને ઇજા

ધોરાજીના વાળોદરના ભરતભાઇ પરમાર રાજકોટ સગાની ખબર કાઢવા આવી રહ્યા હતાં ત્‍યારે અકસ્‍માતમાં પુત્ર ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૧૫: કાલાવડના નિકાવા ગામની ગોળાઇમાં કાર પલ્‍ટી મારી જતાં અંદર બેઠેલા ધોરાજીના વાળોદર ગામના  પરમાર પરિવારના સાતને ઇજા થતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સાત વર્ષના બાળકનું મોત નિપજ્‍યું હતું.
જાણવા મળ્‍યા મુજબ વાળોદર ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં ભરતભાઇ પરબતભાઇ પરમાર (ઉ.૩૫)ના સગા સંજયભાઇ મકવાણા રાજકોટ રહેતાં હોઇ અને તેમને ગઇકાલે વાહન સ્‍લીપ થતાં અકસ્‍માત નડયો હોઇ તેની ખબર કાઢવા પોતાની કાર લઇને રાજકોટ આવી રહ્યા હતાં.
ભરતભાઇ સાથે તેમના પત્‍નિ આરતીબેન પરમાર (ઉ.૩૦),  પુત્ર યુગ પરમાર (ઉ.૭), ધર્મેશભાઇ રમણીકભાઇ (ઉ.૨૮), રોશનીબેન ધર્મેશભાઇ (ઉ.૨૨), દેવાંશી ધર્મેશભાઇ (ઉ.૬), સાગર ધર્મેશભાઇ (ઉ.૨) પણ હતાં. કાર નિકાવા નજીક ગોળાઇમાં પહોંચી ત્‍યારે સ્‍ટીયરીંગ લોક થઇ જતાં કે પછી કોઇપણ કારણોસર ટર્ન ન લાગતાં પલ્‍ટી મારી જતાં તમામને ઇજાઓ થતાં રાજકોટ ખસેડાયા હતાં. અહિ યુગનું મોત નિપજતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. અન્‍ય તમામને પ્રાથમિક સારવાર અપાઇ હતી. યુગ બે બહેનથી નાનો હતો અને ધોરણ-૨માં ભણતો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાલાવડ પોલીસને જાણ કરી હતી.

 

(4:46 pm IST)