Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

આજથી શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આરતી દર્શનમાં ભાવિકોને પ્રવેશની છૂટ

વેરાવળ-પ્રભાસ પાટણ,તા.૧૫ : કોવિડ-૧૯ મહામારીને કારણે વખતો-વખતની સરકારની ગાઈડલાઈન મુજબ શ્રી સોમનાથ મંદિરમાં દર્શનની વ્‍યવસ્‍થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્‍યો છે . હાલની ઘટતી જતી કોરોના વૈશ્વિક મહામારીને ધ્‍યાનમાં રાખી સરકારની ગાઈડલાઈનની ચુસ્‍ત અમલવારી સાથે આજથી શ્રી સોમનાથ મંદિરમાં આરતી - દર્શન માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય શ્રી સોમનાથ ટ્રસ્‍ટ દ્વારા કરવામાં આવ્‍યો છે .
 તેમજ શ્રી સોમનાથ મુખ્‍ય મંદિર તથા શ્રી અહલ્‍યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રીરામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ  મંદિર, શ્રી ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. તેમજ તા.૧૫ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૧ થી શ્રી સોમનાથ મુખ્‍ય મંદિરમાં દર્શનનો સમય સવારે ૦૬:૦૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્‍યા સુધીનો રહેશે . મંદિરની ત્રણેય આરતીમાં ચાલુ આરતીએ ઉભા રહેવા દેવામાં આવશે નહીં. ફરજ પરના ટ્રસ્‍ટના કર્મચારી, પોલીસ, એસ.આર.પી. ની સુચના અને વ્‍યવસ્‍થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે . ચાલુ આરતીએ કોઈપણ યાત્રિક આરતીમાં તેમજ સભામંડપ કે નળત્‍યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં. દર્શને આવતા યાત્રિકોએ કોવિડની ગાઈડલાઈન મુજબ માસ્‍ક ફરજીયાત પહેરવાનુ રહેશે . એન્‍ટ્રી ગેઈટ પરથી ટેમ્‍પ્રેચર મશીનમાં ટેમ્‍પ્રેચર   ચેક કરાવવાનુ રહેશે તેમજ હેન્‍ડ સેનીટાઈઝરથી હાથ સાફ કરીને જ દર્શન માટે પ્રવેશ કરવાનો રહેશે . દર્શન માટેના પાસ ઓનલાઈન તેમજ ઓફલાઈન દર્શન પાસ મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે . તેમજ કોવિડની ગાઈડલાઈનને ધ્‍યાનમાં રાખી કાળજી કરવાની રહેશે. તેમજ ફરજ પરના પોલીસ એસ.આર.પી., સિકયોરીટી સ્‍ટાફ તેમજ મંદિરના સ્‍ટાફને વ્‍યવસ્‍થામાં સહકાર આપી દર્શન માટેની જે વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે. તે પ્રમાણે જ દર્શન કરવાના રહેશે.

 

(11:09 am IST)