Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

ધ્રોલથી પડધરી-મીતાણા થઇને ટંકારા અને ભાદ્રા આમરણ થઇને કચ્છ તરફ જઇ શકાશેઃ બસો બંધ

ધ્રોલ તા.૧પ : ધ્રોલથી ટંકારા, વાયા લતીપર જતો હાઇવે રોડ આજે સવારથીજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવેલ છે.તા.૧૩/૯/ર૦ર૧ ના રોજ ભારે વરસાદને કારણે આજી નદીમાં આવેલ પુરના પાણી આ પુલ ઉપરથી પસાર થયેલ હોવાને કારણે આ પુલ ડેમેજ થયેલ છે અને આ કારણે વાહન વ્યવહાર માટે સલામત ન હોય. તંત્ર તરફથી વાહનોની અવર જવર બંધ કરવામાં આવેલ છે માત્ર ટુ વ્હીલરોને આવવા જવાની છુટ આપવામાં આવેલ છે.

આ ધ્રોલ-ટંકારા હાઇવે રોડ પર લતીપર નજીકના ખાખરા ગામ પાસે આવેલ છે. અગાઉ ત્રણ વર્ષ પહેલા પણ આજી નદીમાં આવેલા પ્રચંડ પુરને કારણે આ પુલ ઉપરથી પાણીનો પ્રવાહ ફરી વળેલ જેના કારણે ત્યારે પણ ડેમેજ થયેલ પરંતુ તંત્ર તરફથી રીપેર કરીને પરિવહન માટે ખુલ્લો મુકેલ હતો.

ધ્રોલથી ટંકારા, મોરબી, કચ્છ-, ધ્રાંગધ્રા તરફ જવા માટેના વાહનો આ રોડ ઉપરથી જતા તેમજ તે બાજુથી જામનગર, દ્વારકા, જવા માટેના વાહનોની અવર જવર રહે છે આ પુલ બંધ કરવામાં આવતા વાહનોને ધ્રોલથી પડધરી, મીતાણા થઇને ટંકારા તરફ જઇ શકાશે તેમજ ધ્રોલથી ભાદ્રા, આમરણ થઇને કચ્છ તરફ વાહનો પસાર થઇ શકશે હાલમાં આ રોડ ઉપર આવતી એસ.ટી.ની બસો પણ બંધ કરવામાં આવેલ છે જે બસોને ઉપરોકત રૂટ ઉપરથી એસ.ટી. તંત્ર તરફથી તાત્કાલીક શરૂ કરવામાં આવે જેથી આ વિસ્તારના નાગરીકોને પરિવહનની સવલતો જળવાઇ રહે.

(1:34 pm IST)