Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

સોમવારે કરણીસેના દ્વારા અમરેલી એસપી કચેરીને ઘેરાવઃ લુવારાની ઘટનાના વિરોધમાં આક્રોશ

અમરેલી, તા.૧૬: અમરેલી જીલ્લાના લુવારામાં ગુજસીટોકના આરોપી અશોક બોરીચાના બહેન સામે ફરિયાદ મુદે કરણી સેના દ્વારા તા.૨૨ને સોમવારે અમરેલી એસપી કચેરીને ઘેરાવ કરીને રોષ વ્યકત કરાશે.

સાવરકુંડલાના લુવારાની મહિલા સામે પોલીસે કરેલી કાર્યવાહીના વિરોધમાં કરણી સેનાએ અગાઉ લુવારા અને સુરજદેવળમાં સંમેલનો યોજયા બાદ હવે આગામી ૨૨મી તારીખે અમરેલી એસપી કચેરીનો ઘેરાવ કરવાની જાહેરાત રાષ્ટ્રીય કરણીસેનાના રાજ શેખાવતે કરી છે. કરણી સેનાના કાર્યકરો અહીં ઝંડા અને દંડા સાથે આવશે તેવી ચિમકી ઉચ્ચારી છે.

લુવારામાં ગુજસીટોકના આરોપી અશોક જયતા બોરીચાની ધરપકડ કરતી વખતે પોલીસ અને અશોક વચ્ચે સામસામુ ફાયરીંગ થયાની ઘટનામાં મહિલા સામે ફરજમાં રૂકાવટના ગુનામાં ધરપકડ થયા બાદ એક પખવાડીયાથી આ વિવાદ ચાલી રહ્યો છે. ફરિયાદમાં હત્યાની કોશિષની કલમ હોય આ મહીલા સામે ખોટી ફરિયાદ હોવાનું જણાવી કરણી સેનાએ લુવારા અને સુરજદેવળમાં સંમેલન યોજયુ હતું. જો કે પોલીસે આ મહિલા સામે માત્ર ફરજમાં રૂકાવટની ફરિયાદ હોવાની સ્પષ્ટતા કરી હતી. ત્યારબાદ પણ આ વિવાદ પર પુર્ણવિરામ આવ્યું નથી.

(12:58 pm IST)