Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

જ્યોતિગ્રામ યોજના થકી આર્થિક,સામાજિક અને સર્વગ્રાહી વિકાસના દ્વાર ખૂલ્યા : ભૂપેન્દ્રભાઈ પટેલ

મુખ્યમંત્રીએ એકસાથે ૧૩ નવા વીજ સબ સ્ટેશન્સના લોકાર્પણ સુરેન્દ્રનગરના પાટડીથી કર્યા : રૂ. ૧૩૦.પ૬ કરોડના ખર્ચે નવનિર્મિત આ વીજ સબ સ્ટેશન્સથી ૯૬ ગામોના ૧૧૪૨૩ ખેતી વિશયક વીજ લાભાર્થીઓ સહિત ૫૮ હજાર ઉપરાંત લાભાર્થી વીજ ગ્રાહકોને ગુણવત્તાયુકત વીજળી મળશે

(ફઝલ ચૌહાણ દ્વારા)વઢવાણ તા.૧૬

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ૬ જિલ્લાઓમાં નિર્માણ થયેલા ૬૬ કે.વી ના ૧૨ સબ સ્ટેશન્સ અને રર૦ કે.વી ના એક એમ ૧૩ વીજ સ્ટેશન્સના એકસાથે એક જ સ્થળેથી  લોકાર્પણ કર્યા હતા.

     તેમણે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી ખાતે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ GETCO દ્વારા આયોજિત આ લોકાર્પણ સમારોહમાં મહેસાણા જિલ્લામાં નવા બનનારા ૬૬ કે.વી ના બે સબ સ્ટેશનના ખાતમૂર્હત પણ કર્યા હતા.

       મુખ્યમંત્રીશ્રીએ સુરેન્દ્રનગર જિલ્લાના ૪, જુનાગઢ જિલ્લાના ર, બોટાદ જિલ્લાના ર, ભાવનગર અને કચ્છ જિલ્લાના એક-એક તથા મોરબી જિલ્લાના ૩ મળી કુલ ૧૩ સબ સ્ટેશન્સના લોકાર્પણ કર્યા હતા. 

         ભૂપેન્દ્રભાઈ પટેલે આ સાથે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની સમી પેટા વિભાગીય કચેરીના નવિન મકાનનો લોકાર્પણ કર્યુ હતું.

      પાટડીની શ્રી સુરજમલજી હાઇસ્કૂલના મેદાનમાં યોજાયેલ આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. મહેન્દ્ર મૂંજપરા, ઉર્જામંત્રી કનુભાઇ દેસાઇ, શિક્ષણ મંત્રી જિતુભાઇ વાઘાણી, વન મંત્રી કિરીટસિંહ રાણા  અને જિલ્લા પ્રભારી મંત્રી દેવાભાઇ માલમ,ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ સહભાગી થયા હતા. 

મુખ્યમંત્રીશ્રીએ  આ પ્રસંગે સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઇના દિશાદર્શનમાં ગુજરાતમાં બે દાયકામાં નાનામાં નાના માનવી અને અંતરિયાળ વિસ્તારો સુધી પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આવાસ જેવી પાયાની સુવિધાઓ પહોચાડીને વિકાસની મુખ્યધારામાં લાવ્યા છીયે અને ગુજરાત સર્વાંગી વિકાસનું આગવું મોડલ બન્યું છે.

     તેમણે ક્હ્યું કે  દેશના ગ્રોથ એન્જિન એવા ગુજરાતમાં વિકાસની ગતિ વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમા વધુ વેગવાન બનાવવા તેમની ટીમ સતત કર્તવ્યરત છે.

વડાપ્રધાન  નરેન્દ્રભાઇએ ગામડાઓમાં ર૪ કલાક થ્રી ફેઇઝ વીજળી પૂરી પાડવા જ્યોતિગ્રામ યોજના શરૂ કરી તેનાથી ગ્રામીણ વિસ્તારોમાં આર્થિક,સામાજિક અને સર્વગ્રાહી વિકાસના દ્વાર ખોલી આપ્યા છે તેમ  ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું.

 જ્યોતિ ગ્રામ યોજનાથી ગામડાઓના અંધારા ઉલેચ્યા છે હવે ગામોમાંજ અદ્યતન આરોગ્ય સેવાઓ,વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અવિરત વીજળી આપીને સૌના જીવનમાં પ્રકાશ પાથર્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.તેમણે શિક્ષણ,સ્વાસ્થ્ય અને સુરક્ષા એમ ત્રણ  મૂળભૂત બાબતો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરીને  સૌના વિકાસની નેમ દર્શાવી હતી.

દરેકના જીવનમાં  પ્રકાશ લાઈટ નું મહત્વ મુખ્યમંત્રીશ્રીએ વિસ્તૃત પણે સમજાવ્યું હતું.

      મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે પાટડી કેળવણી મંડળ સંચાલિત શ્રી સૂરજમલજી હાઈસ્કૂલના નવા મકાનનું ઉદઘાટન કર્યું હતું. તેમણે મિશન મંગલમ યોજના અંતર્ગત ગ્રામ્ય સખી સંઘોને સહાય ચેક ,મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાના લાભાર્થીઓને ચેક તેમજ નગરપાલિકા વિસ્તારમાં નલ સે  જલ યોજનાના હુકમ તથા નગરપાલિકાને ચેક વિતરણ પણ કર્યા હતા.

(12:51 pm IST)