Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

કોરોનામાં પુત્રનું મૃત્યુ થયા બાદ પુત્રવધુનાં દીકરીની જેમ લગ્ન કરાવ્યાં

જૂનાગઢમાં સમાજને રાહ ચિંધતો કિસ્સો

 જૂનાગઢ,તા.૧૬ : જૂનાગઢમાં  સમાજને નવી રાહ ચિંધતો  કિસ્સો સામે આવ્યો છે. ગત વર્ષે પુત્રનું કોરોનામાં મૃત્યુ થયું હતું.બાદ પિતાએ પુત્રવધુનાં દીકરીની જેમ લગ્ન કરાવી વિદાય આપી હતી. તેમજ તમામ કરિયાવર પણ આપ્યું હતું.

 ભીખુભાઇ માલવિયાનાં પુત્ર પ્રજેશભાઇનાં લગ્ન મેંદરડાનાં બાબરર્તીથ ગામે રહેતા જેન્તીભાઇ રાખોલિયાનાં પુત્ર ચેતનાબેન સાથે થયા હતાં. પ્રજેશભાઇ જોષીપરામાં પાનની દુકાન ચલાવતા હતાં. સામાન્ય અને નાનો પરિવાર ખુશ હતો. પરંતુ કોરોના કાળમાં પરિવારની ખુશી છિનવાઇ ગઇ હતી. કોરોનામાં પ્રજેશભાઇનું મૃત્યુ થયું હતું. એક પુત્ર અને પત્ની નિરાધાર બન્યાં હતાં અને તેમની જવાબદારી પ્રજેશભાઇનાં પિતા ભીખુભાઇ ઉપર આવી ગઇ હતી. ભીખુભાઇ પુત્રવધુને દીકરી કરતા પણ વધારે રાખતા હતાં. સમય જતા પુત્રવધુની સગપણ કરવાનો નિર્ણય કર્યો હતો. કુટુંબીજનોએ પણ આ નિર્ણયને આવકાર્યો હતો.બાદ અમદાવાદમાં ખાનગી નોકરી કરતા હાર્દીકભાઇ કેશવાલા સાથે પુત્રવધુનું સગપણ ગોઠવ્યું હતું. બાદ ભીખુભાઇ પુત્રવધુનાં દીકરીની જેમ લગ્ન કરાવી વરાવ્યાં હતાં. તેમજ તમામ કરિયાવર પણ આપ્યું  તેમ  ચેતનાબેનનાંભાઇ તુષારભાઇ રાખોલિયાએ જણાવ્યું હતું.

(1:19 pm IST)