Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

પ્રાકૃતિક ખેતી અપનાવી ગીર-સોમનાથના પ્રગતિશીલ ખેડૂતે ઉત્તમ ઉત્પાદન મેળવ્યું

જીવામૃત અને પંચગવ્ય સતત ટપકસિંચાઈથી પૂરા પાડી કેરીની પ્રાકૃતિક ખેતીથી અભૂતપૂર્વ ઉત્પાદન મેળવ્યું, સરકારએ અનેક લાભો પૂરા પાડ્યા

 પ્રભાસ પાટણ :ગુજરાતનો ખેડૂત હવે પ્રગતિશીલની સાથે જ વિકાસશીલ પણ બની રહ્યો છે જે વાતની સાક્ષી પૂરી રહ્યાં છે ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના આંકોલવાડી ગામના ધાર્મિકભાઈ મકાણી. ધાર્મિકભાઈ મકાણી ત્રણ વર્ષ પહેલા રાસાયણિક ખેતી કરતા હતાં પરંતુ હવે તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે અને આ ખેતીના મીઠા ફળ પણ તેમને મળી રહ્યાં છે. ગુજરાત સરકારશ્રીની વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો પણ તેમને વીપુલ પ્રમાણમાં લાભ મળ્યો છે, તે બદલ તેમણે સરકારનો હૃદયપુર્વક આભાર પણ વ્યક્ત કર્યો હતો.

   ધાર્મિકભાઈએ જણાવ્યું હતું કે, રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૌથી મુખ્ય કારણ રાસાયણિક ખેતી થતો વધુ ખર્ચ અને રાસાયણોથી આરોગ્ય તેમજ જમીનને થતું નુકસાન હતું. આ કારણોસર હું પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો અને હવે રાસાયણિક ખેતી કરતા ઓછા ખર્ચે મારી આવક પણ બમણી થઈ છે.

   ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે ખેડૂતોને કરેલ આહવાન તેમજ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોને અપાતા માર્ગદર્શન અને શ્રી સુભાષ પાલેકરની પદ્ધતિઓથી પ્રેરાઈને ધાર્મિક ભાઈ મકાણી દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવામાં આવી હતી. ધાર્મિકભાઈ ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે સાથે જ તેઓ જીવામૃત, પંચગવ્ય જેવા બહુ ઉપયોગી કુદરતી ખાતર પણ જાતે જ બનાવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, સીધા જ તેઓ પ્રાકૃતિક ખેતી પર નથી આવ્યાં. પહેલા વર્ષે મેં કુદરતી ખાતર પર વધુ ધ્યાન આપ્યું અને સાથે જ જીવામૃતનો પણ પ્રયોગ કર્યો હતો. જેનો ફાયદો મને જોવા મળ્યો હતો. જે પછી ચોમાસા દરમિયાન લિંબોળીનો ખોળ-એરંડિયા નાખવા જેવા વિવિધ પ્રયોગ પણ કર્યા હતાં. અને તેનુ ઊત્તમ પરીણામ મળતા હવે સંપુર્ણ પ્રાક્રૂતીક ખેતી અપનાવી છે.

 ગુજરાત સરકાર તરફથી મળેલી સહાયનો ઉલ્લેખ કરતા ધાર્મિકભાઈએ કહ્યું હતું કે, બાગાયત વિભાગ તરફથી ટપક સિંચાઈ માટે 70% તેમજ પેકહાઉસ બનાવવા માટે પણ 40% જેટલી સહાય આપવામાં આવી છે. આ ઉપરાંત કુદરતી ખાતર બનાવવા માટે પ્લાસ્ટિક ડ્રમ સહિતની વિવિધ સહાય પણ તેમને મળી હતી. પ્રાકૃતિક ખેતી અપનાવ્યા બાદ મળતા ઉત્પાદનમાં થયેલ સૂઘાર અંગે તેમણે ઉમેર્યુ હતું કે, જ્યારથી હું પ્રાકૃતિક ખેતી કરી રહ્યો છું ત્યારથી જમીનની ફળદ્રુપતામાં પણ વધારો જોવા મળ્યો છે અને ફળની ચમકમાં પણ વધારો થયો છે. 

  ધાર્મિક ભાઈ પોતાની પ્રાકૃતિક ખેતી ની સફળતા બાબતે સરકારશ્રીના અભિયાનને  શ્રેય આપતા ઉમેરે છે કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના રસાયણ મુક્ત ધરતી કરીને પ્રાકૃતિક ખેતી તરફ ના અભિયાનમાં જોડાઇને હું ખૂબ ગર્વ અનુભવું છું.

  ધાર્મિકભાઈ પ્રાકૃતિક ખેતીની સાથે જ જમીન અને તેના બિયારણ અને પાકમાં પણ વિવિધ પ્રયોગો કરતા રહે છે. ધાર્મિકભાઈએ કેરી, ઉપરાંત પોતાના ખેતરમાં શ્યામતુલસી અને ઋતુ અનુસાર ગલગોટા પણ ઉગાડી રહ્યાં છે. ખેતરમાં થતી ખેતપેદાશોથી ચામાચીડિયા, રોઝ, ચિત્તલ અને વન્યપ્રાણીઓને દૂર રાખવા માટે તેમણે પ્રયોગ કરતા થર્મોકોલ અને કાચની બોટલના ઉપયોગ વડે તીણો અવાજ આવે તેવી વ્યવસ્થા પણ ગોઠવી છે. જેથી અવાજથી વન્યજીવો દૂર રહે અને પાકને નુકસાન ન પહોંચાડે. ધીરજના ફળ મીઠાં એ કહેવતને સાર્થક કરતા ધાર્મિકભાઈ જિલ્લાના અન્ય ખેડૂતો માટે પણ ખરા અર્થમાં પ્રેરણાદાયક બન્યા છે.

(10:09 pm IST)