Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોરબીમાં પીવાનું પાણી સમયસર પૂરતા જથ્થામાં પૂરું પાડવા રાજ્યમંત્રી મેરજાની તાકીદ.

રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે મોરબી જિલ્લાના પાણી પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઈ

  મોરબી :રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષસ્થાને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે પીવાના પાણી અંગે સમીક્ષા અંગેની બેઠકનું આયોજન કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે કરવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા દરેક નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી નિયત સમયે મળી રહે તે માટે વિવિધ પ્રકલ્પો દ્વારા આયોજનો કરવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લામાં પીવાના પાણીના વિતરણ તેમજ પાણી સંબંધિત પ્રશ્નોની સમીક્ષા અંગેની બેઠકનું શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વંતત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણના રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જિલ્લામાં ક્યાંય પણ પાણીની મુશ્કેલી ન પડે તે માટે પાણી પુરવઠાના અધિકારીઓને તાકીદ કરી હતી. નગરપાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ નગરપાલીકાના પ્રતિનિધિઓ સાથે મોરબી શહેરમાં પીવાના પાણીનો કોઈનો પ્રશ્ન ન સર્જાય તેનું ચોક્કસ નિરાકરણ કરવા પાણી પુરવઠાના અધિકારીઓને સુચના આપી હતી.
ગ્રામિણ વિસ્તારોના જન પ્રતિનિધિઓ તેમજ સરપંચોએ પણ પાણીના પ્રશ્નો ન સર્જાય તે માટે પૂર્વ તૈયારી કરવા રજુઆત કરી હતી. જેમાં મોરબી તાલુકાના ગાળા, પિલુડી, રાપર, રવાપર(નદી), નાગડાવાસ વગેરે ગામોમાં સમયસર વારાફરતી પુરતું પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવા મંત્રીએ તંત્રને સુચન કર્યું હતું. વિરપરડા ગામમાં બોરમાં સબ મર્શિબલ પંપ લગાવવા સુચના આપી હતી. નવા દહિસરામાં પણ ટુંક સમયમાં પાણીની નવી લાઈન ચાલુ કરવા વહીવટીતંત્રને તાકીદ કરી હતી. માળીયા તાલુકાના બોળકી, વેજલપર, રોહિશાળા, ચીખલી વગેરે ગામોમાં પણ પુરતુ પાણી મળી રહે તે માટે ત્વરિત નિરાકારણ લાવવા અધિકારીઓને સુચના આપી હતી.

ટંકારા તાલુકાના શક્તિનગર, જયનગર સહિતના વિસ્તારોમાં પણ પાણીના પ્રશ્નો ન સર્જાય તે માટે અધિકારીઓને રૂબરૂ સ્થળ નિરીક્ષણ કરવા જણાવ્યું હતું અને પાણીના સુચારૂ વિતરણ માટે ટેન્કરથી પાણી પહોંચાડવાની સુવિધા પણ ઉભી કરવા આ તકે જણાવ્યું હતું. ઉપરાંત જન પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓને ખોટી રીતે પાણીનું ટીપુ પણ વેડફાય નહિં તેનું ધ્યાન રાખવા અપીલ કરી હતી.
આ બેઠકમાં કલેકટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પી.જે. ભગદેવ, નગરપાલીકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, મુખ્ય ઈજનેર અને અધિક્ષક ઈજનેર પાણી પુરવઠાબોર્ડ રાજકોટના આર.એમ.મહેરીયા, કાર્યપાલક યાંત્રીક વિભાગ રાજકોટના કે.કે. તેરૈયા નિવાસી અધિક કલેકટર એન.કે.મુછાર,નાયબ પોલીસ અધિક્ષક અતુલ બંસલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈશિતા મેર, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર વાય.એમ.વંકાણી, નગરપાલિકાના ચિફ ઓફીસર સંદીપસિંહ ઝાલા તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ/કર્મચારીઓ તથા અન્ય વિભાગના અધિકારીઓ, પદાધિકારીઓ અને વિવિધ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

(10:37 pm IST)