Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરાશે

જિલ્લા પંચાયતના પટાંગણમાં યોજાનાર આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું

મોરબીમાં ગુજરાત ગૌરવ અભિયાન અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરવાના કાર્યક્રમનું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૮ શનિવારે જિલ્લા પંચાયતના પટાંગણમાં યોજાનાર આ કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રા) અંતર્ગત લોકાર્પણનો મુખ્ય કાર્યક્રમ વડોદરા ખાતેથી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે. વડોદરા જિલ્લામાં યોજાનાર આ કાર્યક્રમ સમાંતર દરેક જિલ્લામાં યોજાનાર હોઈ તે અન્વયે મોરબી જિલ્લામાં આ કાર્યક્રમ તા.૧૮.૦૬.૨૦૨૨ શનિવારનાં વિવિધ રાજકીય મહાનુભવોની ઉપસ્થિતિમાં યોજાશે જેમાં બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે.
સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ જળવાય રહે તે હેતુથી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે સંબંધિત અધિકારીઓને સુચના આપી, કાર્યક્રમના સફળ આયોજન માટે આનુષંગીક વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પી. જે. ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઇલાબેન ગોહિલ, નાયબ પોલિસ અધિક્ષક એમ. આઇ. પઠાણ, મોરબી પ્રાંત અધિકારી ડી. એ. ઝાલા, હળવદ પ્રાંત અધિકારી એમ. એ. ઝાલા, સર્વે તાલુકા વિકાસ અધિકારીઓ તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:52 pm IST)