Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

પૂર્વ કચ્છમાં ત્રણ નવી કોવિડ હોસ્પિટલ સાથે ૧૦૪ ઇમરજન્સી વાહનનું લોકાર્પણ

આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, પ્રભારી રાજકુમાર બેનિવાલ, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, માલતીબેન મહેશ્વરીના હસ્તે પ્રારંભ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : કચ્છમાં વધતા જતા કોરોનાના કેસ વચ્ચે કોવિડ હોસ્પીટલની સુવિધા વધારાઇ રહી છે. ખાસ કરીને પૂર્વ કચ્છમાં એક કોવિડ હોસ્પિટલ પછી હવે નવી ત્રણ હોસ્પિટલમા કોવિડની સારવાર શરૂ કરાઇ છે. જે અંતર્ગત ગાંધીધામ ખાતે ન્યુ હરિઓમ કોવીડ-૧૯ હોસ્પિટલનું લોકાર્પણ ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય અને ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ રાજયના આરોગ્ય કમિશનરશ્રી જયપ્રકાશ શિવહરે, કચ્છ કોવીડ-૧૯ના પ્રભારીશ્રી રાજકુમાર બેનિવાલની ઉપસ્થિતિમાં કર્યુ હતું.

કલેકટરશ્રી પ્રવિણા તેમજ ન્યુ હરિઓમ હોસ્પિટલના ટ્રસ્ટી ડો.ખાનચંદાણી અને ગાંધીધામ-અંજારના પદાધિકારીઓ, અધિકારીઓ અને તબીબો આ પ્રસંગે જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગાંધીધામ શહેર માટે ૧૦૪ રિસ્પોન્સ ટીમ વાનનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા અને સાવધાનીના પગલાંરૂપે કચ્છના ગાંધીધામ ખાતે અન્ય ત્રણ નવી હોસ્પિટલ ન્યુ હરીઓમ ૩૪ બેડની, સેટ જોસેફ હોસ્પિટલ ૪૦ બેડની અને ડીપીટી ગોપાલપુરી હોસ્પિટલ ૫૨ બેડવાળી આમ ત્રણ નવી ડેઝીગનેટેડ કોવીડ હોસ્પિટલ કાર્યરત થશે એમ કમિશનરશ્રીએ જણાવ્યું હતું.

આ તકે આરોગ્ય કમિશનરશ્રી જયપ્રકાશ કચ્છ કોવીડ પ્રભારીશ્રી રાજકુમાર બેનિવાલએ IMA ના સેવા માટે રોકાયેલા તબીબો સાથે ઉપલબ્ધ સુવિધાઓ, પ્રશ્નો અને સમસ્યાઓ બાબતે વિગતે છણાવટથી ચર્ચા કરી હતી. તબીબો અને પ્રજાની કોવીડ-૧૯ માટેની સુવિધા તેમજ સાવચેતી બાબતે ચર્ચા તેમણે જણાવ્યું હતું કે, સરકાર સૌની સાથે છે. કોરોનાને હરાવવા યોધ્ધા બની તબીબી સ્ટાફ અન્ય સહયોગી ટીમે તમામ તૈયારી કરી યુધ્ધના ધોરણે કોરાનાને હરાવવાનો છે.

રાજકુમાર બેનિવાલે પણ જિલ્લાની સુવિધા અને સમસ્યાઓ બાબતે સ્વનિર્ણય વગેરેની વાત કરી હતી. આ તકે જિલ્લામાં કોવીડ-૧૯ને હરાવવા વહીવટી અને આરોગ્ય ટીમના સંકલન અને સાવધાનીપૂર્વક કામગીરી કરવા જણાવ્યું હતું.

ભુજના ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે જણાવ્યું હતું કે, સ્ટર્લિગ હોસ્પિટલની બેડ ક્ષમતા વધારીને ૬૦ જેટલી કરવામાં આવશે. હાલ ગાંધીધામ અને અંજાર ખાતે ૧૯ બેડની રામબાગ હોસ્પિટલ, પપ બેડની હરિઓમ હોસ્પિટલ, ૨૦ બેડવાળી રેફરલ હોસ્પિટલ અંજાર એમ ત્રણ હોસ્પિટલ કાર્યરત છે તેમજ ૩૫ બેડવાળી સ્ટર્લિગ હોસ્પિટલમાં કોરોના સબંધિત સુવિધા આપવામાં આવી છે. ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્ય આ તકે ઉપસ્થિતોને જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિતે તા.૧૪ થી ૨૧ દરમ્યાન સેવા સપ્તાહ ઉજવાશે.

જિલ્લામાં દરેક કોવીડ હોસ્પિટલોમાં નોડલ ઓફિસર અને હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. દાખલ થનારા દર્દીઓની સગાવ્હાલાઓનું કાઉસીલીંગ દર્દીઓના ફીડબેક અને વ્યવસ્થાની સમીક્ષા સુનિશ્ચિત થઇ શકશે એમ આ તકે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે. જણાવ્યું હતું.

તમામ કોવીડ હોસ્પિટલોની વિગતો એક જ જગ્યાએથી ઉપલબ્ધ થાય તેમજ કેન્દ્રિય સુપરવિઝન થઇ શકે તે માટે એસ.ડી.એમ. ઓફિસ અંજાર ખાતે કન્ટ્રોલરૂમ સેટઅપ ગોઠવવામાં આવશે એમ પ્રાંત અધિકારી ડો.વી.કે.જોશી દ્વારા જણાવ્યું હતું.

ગાંધીધામમાં આજથી પ્રારંભ ૧૦૪ રિસ્પોન્સ ટીમની ચાર વાન ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અર્પણ કરવામાં આવી છે.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર અને સીવીલ સર્જન ડો.કશ્પય બુચે આ તકે તબીબો-હોસ્પિટલ અને કામગીરીની વિગતો અને ભવિષ્યની સુવિધા બાબતે જણાવ્યું હતું. જી.કે.જનરલ હોસ્પિટલ અને IMA ના તબીબોએ આ તકે ઉપસ્થિત સમક્ષ પોતાના પ્રશ્નો રજુઆતો અને લેવાના પગલાં બાબતે છણાવટ કરી હતી.

આ તકે કલેકટરશ્રી પ્રવિણા ડી.કે., ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ટ્રસ્ટી ડો.ખાનચંદાણી, ગાંધીધામ નગરપાલિકા પ્રમુખશ્રી કાનજીભાઇ ભર્યા, ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સના અનિલકુમાર રંજન, મીઠા ઉધોગના શ્રી તેજાભાઇ આહિર, ગોવિંદ મહેશ્વરી તેમજ હોસ્પિટલના તબીબો, કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

(10:20 am IST)