Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ભાવનગરમાં વધુ ૩૮ કોરોના પોઝિટિવઃ ૪૬ દર્દીઓ બન્યા કોરોનામુકત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૩,૫૬૦ કેસો પૈકી ૪૧૮ દર્દીઓ સારવાર હેઠળ

(વિપુલ હિરાણી) ભાવનગર તા.૧૬ : ભાવનગર જિલ્લામાં વધુ ૩૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૫૬૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૮ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના માલણકા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના માલપર ગામ ખાતે ૧, જેસર ખાતે ૧, પાલીતાણા ખાતે ૩, સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ટાઢાવડ ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના પરવાળા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધારૂકા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના દડવા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાના રામણકા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૭ અને તાલુકાઓના ૯ એમ કુલ ૪૬ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટલમાંથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૫૬૦ કેસ પૈકી હાલ ૪૧૮ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૦૮૦ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૫૫ દર્દીઓનુ અવસાન થયેલ છે.

(10:19 am IST)