Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

જામનગરથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ૧૭ ટન ઓક્સિજન જથ્થો પહોંચ્યો :;વર્તમાન પરિસ્થતિમાં ઓક્સિજનની અછત ન સર્જાય તે તંત્રની તકેદારી

(વિનોદ ગાલા દ્વારા)(ભુજ) કોરોનાને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોવીડ-૧૯ મહામારી અંતર્ગત સારવાર લઈ રહેલ દર્દીઓ માટે ઓક્સિજન સીલીન્ડર અત્યારે જાણે અમૃત સમાન બન્યું  છે. જેથી ભુજ મધ્યે આવેલ જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન સપ્લાય માટે હોસ્પિટલના પરિસરમાં જ  અત્યાર સુધીમાં કુલ ૩ (ત્રણ) લીકવીડ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત છે. જેની અંદાજીત દૈનિક ક્ષમતા કુલ – ૩૦૦ થી ૩૨૦ ઓક્સિજન સીલીન્ડરો બરાબરની છે. હાલમાં જી.કે.જનરલ હોસ્પિટલના પરિસર ખાતે ચોથો લીકવીડ ઓક્સિજન પ્લાન્ટ ઉભો કરવાની કામગીરી ચાલુમાં છે. જેના થકી દૈનિક - ૨૦૦ ઓક્સિજન સીલીન્ડર બરાબરની ઓક્સિજન સપ્લાયની ક્ષમતા વધવા પામશે.

 

વધુમાં, જિલ્લા વહીવટી તંત્રની રજૂઆત ધ્યાને લઈ રાજય સરકાર દ્વારા આજરોજ જામનગર મધ્યેથી ૧૫-૧૭ ટન  લીક્વીડ ઓક્સિજનના જથ્થા સાથેનું ટેન્કર જી.કે.જનરલ હોસ્પિટલ-ભુજ ખાતે મૂકવામાં આવ્યું છે. જે થકી જી.કે.જનરલ હોસ્પિટલ, ભુજ મધ્યે ઓક્સિજન સપ્લાયની કુલ ક્ષમતા આશરે ૧૫૦૦ થી ૧૭૦૦ ઓક્સિજન સીલીન્ડર બરાબર થવા પામી છે, જેથી વર્તમાન પરિસ્થતિમાં કોવીડ-૧૯ ના દર્દીઓ માટે છુટક ઓક્સિજન સીલીન્ડર પરની નિર્ભરતા ઓછી કરી શકાશે અને ઉપર્યુક્ત ઓક્સિજન સપ્લાય ઉપલબ્ધ કરાવવા મદદ મળી શકશે તેવું ભુજ પ્રાંત અઘિકારીશ્રી મનીષ ગુરવાણીએ જણાવ્યું હતું.

(12:57 pm IST)