Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

૬૦૦૦ લોકોને સ્થળાંતર કરવાનો આદેશ : આજે કે કાલે વહેલી સવારે અતિ ભારે વરસાદની સંભાવના

તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા અમરેલી વહીવટી તંત્ર સજ્જ : કલેકટર આયુષ ઓક

રાજુલા -અમરેલી,તા.૧૭: તૌકતે વાવાઝોડાની સંભવિત અસરોને પહોંચી વળવા અમરેલી વહીવટી તંત્ર સજ્જ છે તેમ અમરેલી જિલ્લા કલેકટર આયુષ ઓક એ જણાવ્યું હતું.અધિકારીઓને પોતાના વિસ્તારમાં હાજર રહી એલર્ટ રહેવા કલેકટરશ્રીની સુચના છે.

આજ સાંજે કે ૧૮ મે વહેલી સવારે અતિ ભારે વરસાદની સંભાવના છે રાજુલા-જાફરાબાદ તાલુકાના દરિયાકાંઠાથી ૦ થી ૩ કિમીના વિસ્તારમાં ૨૦ ગામડાઓ અને ૧ જાફરાબાદ નગરપાલિકા જેમાં કુલ ૯૦ હજાર આસપાસ વસ્તી છે જે પૈકી ૬૦૦૦ લોકોને સ્થળાંતર કરવામાં આદેશ અપાયા છે.

સવારથી લો લાઈન એરિયાના કાચા મકાનોમાં રહેતા ૧૭ હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાશે

નદી નાળા કે નીચાં વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સૂચના અપાઈ. સરપંચ, તલાટી, રેવન્યુ સ્ટાફ તેમજ ગ્રામસેવકો ખડેપગે રહેશે

પોલીસ, વીજ કંપની, માર્ગ અને મકાન, નેશનલ હાઇવે જેવા તમામ વિભાગોની રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યરત છે. આ ટીમ પાસે જેસીબી, ઝાડ કાપવાના મશીન જેવા સંસાધનો ઉપલબ્ધ છે.

ઝાડ, વીજળીના થાંભલાઓ, ટ્રાન્સફોર્મર્સને નુકસાન ન થાય તેવા પગલાં લેવાયા છે શેલ્ટર હાઉસમાં કોવીડની ગાઈડલાઇન્સનું ચુસ્તપણે પાલન કરાશે રાજુલા જાફરાબાદના ૨૦ ગામોમાં ધન્વંતરિ રથ કાર્યરત છે સ્થળાંતરિત કરતા લોકોના રેપિડ-એન્ટિજન ટેસ્ટ કરાશે જાફરાબાદ-રાજુલાના ઓકિસજન પરના ૩૩ દર્દીઓને એમ્બ્યુલન્સથી સાવરકુંડલા ખસેડાશે.

ખાનગી અને સરકારી દવાખાનાઓમાં વીજ પુરવઠો જળવાય તે માટે વીજ કમ્પનીને ખાસ સૂચના આપવામાં આવી છે જો વીજ પુરવઠો ખોરવાય તો ડીજી સેટ કે પાવર બેકઅપની વ્યવસ્થા કરાશે.

વાવાઝોડાની ૪૮ કલાક પછી પણ ઓકિસજન ચાલે એટલો જથ્થો ઉપલબ્ધ કરાવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.૩ ડીવાયએસપી, ૨૦ જેટલા પીઆઈ/પીએસઆઈ, ૨ એનડીઆરએફની અને ૧ એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે

રેસ્કયુ કે રિલીફ કાર્યની જો જરૂર લાગે તો પૂરતી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ફૂડ પેકેટ્સ બનાવવાની કામગીરી પણ હાલ ચાલુ છે

તમામ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે આવતા બે દિવસ માટે જાફરાબાદ અને રાજુલાના ગામોમાં કર્ફ્યુ લાદવામાં આવશે. દરિયાકાંઠાથી ૨૦૦ મીટરનો વિસ્તાર ઉપર જરૂરી કામગીરી સિવાય પ્રતિબંધ છે

ઓવરહેડ પાણીની ટાંકી ખાલી કરાવવાનો આદેશ છે. પીવાના પાણીની વ્યવસ્થા પૂર્ત પ્રમાણમાં કરી લેવા લોકોને અપીલ કરી હતી.

(1:12 pm IST)