Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

વાવાઝોડાની અસર શરૂ : મહુવામાં દરિયાઈમાં કરંટ: દ્વારકામાં પણ 9 ફુટ ઉંચા ઉછળતા મોજા

ગોમતી ઘાટમાં ભારે કરંટ: ઓખા બંદરે 8 નંબરનું સિંગ્નલ :વાવાઝોડાનાં કારણે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી :કલોલમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદ: અમદાવાદમાં પણ વાવાઝોડાની અસર: વાતાવરણમાં પલટો છુટોછવાયો વરસાદ

અમદાવાદ : તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તંત્ર દ્વારા ગુજરાતના દરિયાકાંઠે રહેતા તમામ લોકોનું સલામત સ્થલે સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે. જેમ જેમ વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે જેના કરાણે દરિયો તોફાની બનતો જાય છે. મહુવામાં દરિયાઈમાં કરંટ જોવા મળ્યો છે અને બીજી બાજુ દ્વારકામાં પણ 9 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

તૌકતે વાવાઝોડું ગુજરાત પર ટકરાવાનું છે. ત્યારે હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે તૌકતે મહુવાથી પોરબંદર વચ્ચે ટકરાશે. તેવામાં મહુવાના દરિયામાં અત્યારથી જ ભારે કરંટ જોવા મળી રહ્યો છે. અને દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. જેથી અંદાજ લગાવી શકાય છે કે જ્યારે વાવાઝોડુ મહુવા ટકરકાશે ત્યારે સ્થિતિ કેટલી ભયાવહ બનશે.

દેવભૂમિ દ્વારકામાં પણ ‘તૌકતે’ની અસર વર્તાવાની શરૂ થઇ ગઈ છે. ગોમતી ઘાટમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. દરીયામાં અંદાજિત આઠથી નવ ફુટ ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. ઓખા બંદરે 8 નંબરનું સિંગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાનાં કારણે ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી છે.

બીજી તરફ ગાંધીનગરમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. કલોલમાં ભારે પવન સાથે મૂશળધાર વરસાદની એન્ટ્રી થઇ છે. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાવવાના શરૂ થઇ ગયા છે. બીજી બાજુ વાવાઝોડાની દહેશત વચ્ચે ધોધમાર વરસાદ વરસતા લોકો ચિંતામાં મુકાયા છે

 

આ સાથે અમદાવાદમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે અને પવનની ગતિમાં પણ વધાઈ રહ્યો છે. જો કે, શહેરના ઘણી વિસ્તારમાં છુટો છવાયો વરસાદ પણ વરસ્યો હતો.

 

તૌકતે વાવાઝોડાને પગલે રાજયના દરિયા કાંઠે રહેતા તમામ લોકોનું સલામત સ્થલે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ દોઢ લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. સીએમ રુપાણી દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે કે, લોકો ઘરની બહાર કામ સિવાય ન નિકળે.

 

એન.ડી.આર.એફ.ની 44 ટીમ ફાળવી આપી છે જે દરિયાકાંઠાના વિસ્તારોમાં પહોચી ગઇ છે. સાથોસાથ આર્મી, નેવી અને એરફોર્સને પણ ગુજરાતની મદદ-સહાય માટે તૈયાર રહેવા કેન્દ્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. દરિયામાં માછીમારી માટે ગયેલા બધા જ માછીમાર-સાગરખેડૂઓ સલામત રીતે પરત આવી ગયા છે.

 

આ સંભવિત વાવાઝોડાની તીવ્રતા અને વ્યાપકતાની સંભાવનાઓ જોતાં રાજ્ય સરકારે બચાવ-રાહતના આગોતરાં આયોજનમાં કોઇ કચાશ રાખી નથી. રાજ્ય સ્તરીય કંટ્રોલ રૂમ 24×7 ગાંધીનગરમાં કાર્યરત છે. એટલું જ નહિ જો આ વાવાઝોડાને પરિણામે વીજપુરવઠો ખોરવાય કે તેને અસર પડે તો તુરત જ દુરસ્તી કામ માટે વીજ કર્મીઓની 661 જેટલી ટીમ તૈયાર રાખવામાં આવેલી છે

(7:25 pm IST)