Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની હત્યા કરનાર પાંચ શખ્સોની શોધખોળ

મોરબી હત્યાના બનાવોના સિલસિલાથી પોલીસના અસ્તિત્વ સામે પ્રજામાં અનેક સવાલોઃ પોલીસ ત્રીજુ નેત્ર ખોલે તેવી પ્રજામાં માંગણી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૧૭ :. મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને તેના પુત્રની ઘરમાં ઘુસી હત્યા કરનાર પાંચેય શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

મોરબીના વિસીપરા વિસ્તારમાં રહેતા મોરબી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ ફારૂકભાઈ ઈબ્રાહીમભાઈ પોટલાણી (ઉ.વ. ૫૨) અને તેના પુત્ર ઈમ્તીયાઝ (ઉ.વ. ૨૪)ની ઘરમાં ઘુસી હત્યા કર્યાના બનાવમાં દાદુ ઉર્ફે રફીક તાજમહમદ, અસગર ભટ્ટી, જુસા ભટ્ટી, આસીફ સુમરા અને મોહિત પીંજારા સામે ફરીયાદ થયા બાદ બી-ડિવીઝનના પી.આઈ. વિરલ પટેલ તથા સ્ટાફે ઉકત પાંચેયની શોધખોળ હાથ ધરી છે.

મોરબી શહેરમાં છેલ્લા ૧૫ દિવસમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઊંચે ચડ્યો છે. જેમાં સરાજાહેર હત્યા, ખૂની હુમલા, લુંટફાટ, ચોરી જેવા ગંભીર બનાવો સામાન્ય થઈ ગયા છે. પોલીસ અને કાયદાને ખિસ્સામાં લઈને ફરતા લુખ્ખા તત્વો અને ગુન્હેગારોની એટલી હિંમત વધી ગઈ છે કે ધોળે દિવસે ખુલ્લેઆમ હથિયારો લઈને ગુંડાગિરી આચરતા સહેજ પણ અચકાતા નથી. પોલીસ અને કાયદાનું જાણે અસ્તિત્વ જ ન હોય તેમ લુખ્ખા તત્વો અને અસામાજિકો ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતા હોવાથી મોરબીની શાંતિ હણાઈ ગઈ છે. મોરબી જાણે યુ.પી., બિહાર હોય એ રીતે છેલ્લા ૧૫ દિવસમાં છ હત્યાઓ, સંખ્યાબંધ ખૂની હુમલા, લૂંટફાટ અને ચોરીના અનેક બનાવો બન્યા છે.

મોરબીમાં ગુનાખોરી વધતા લોકોમાં જબરો આક્રોશ છે કે, ખરેખર આટલા બધા ગંભીર બનાવો બનાવ છતાં પોલીસ કરે છે શું? જો કે લુખ્ખા તત્વો અને ગુન્હેગારોની આટલી બધી હિંમત વધી એમાં પોલીસની હપ્તાખોરી જ કારણભૂત છે. પોલીસ તંત્રમાં હપ્તાખોરી એટલી હદે ઘર કરી ગઈ છે કે કાયદો અને વ્યવસ્થાનો અમલ અને પ્રજાના જાનમાલની રક્ષાની જવાબદારી ભુલાઈ ગઈ છે. આજે મોરબીમાં ગુંડાગિરીએ જે આંતક મચાવ્યો છે, તેમાં પોલીસની રહેમનજર જવાબદાર છે. પોલીસ ખરેખર નિષ્ઠાથી કામ કરે તો મોરબીના આજે જે હાલ થયા છે, એવા હાલ ક્યારેય ન થાય. ખરેખર તો મોરબીમાં પોલીસની ગુન્હેગારો કે લુખ્ખાઓ ઉપર કોઈ ધાક જ રહી નથી. તે છેલ્લા ૧૫ દિવસમાં બનેલા ઘટનાક્રમથી પુરવાર થાય છે.

મોરબીમાં ૧૫ દિવસથી ગંભીર બનાવો બન્યા હોવા છતાં ઉચ્ચ પોલીસ અધિકારીથી માંડીને અન્ય કોઈ પોલીસે ગુંડાગીરીને નાથવા કોઈ પગલાં લીધા હોય તેવું લાગતું નથી. પોલીસની આવી બેપરવાહી ગુંડાગીરીને ઉત્તેજન પૂરું પાડે છે. જો પોલીસ આવી રીતે બેજવાબદારીથી વર્તશે તો મોરબીને બીજું બિહાર બનતા વાર નહિ લાગે. આથી,મોરબી  પોલીસે પોતાનું ત્રીજુ નેત્ર ખોલી ગુંડા લૂખાતત્વોને ચમત્કાર બતાવવા સાથે અસ્સલ પોલીસનો પરિચય કરાવવો પડશે. તોજ ગુંડાગીરી કાબુમાં આવશે તેવું લોકો જણાવી રહ્યાં છે.

(1:10 pm IST)