Gujarati News

Gujarati News

News of Friday, 17th September 2021

સાવરકુંડલાઃ ગોધરા કસ્ટોડીયલ ડેથ મુદ્દે તટસ્થ તપાસની કોંગ્રેસના ધારાસભ્યોની માંગ

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.૧૭ : અમદાવાદના કોંગ્રેસના ધારાસભ્યો  ગ્યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલા તથા વાંકાનેરના ધારાસભ્ય  જાવેદ પીરઝાદાએ રાજયના પોલીસવડા આશિષ ભાટીયાને પત્ર પાઠવી ગોધરા કસ્ટોડીયલ ડેથ બાબતે માનવ અધિકારોના રક્ષણ કાજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા પોલીસ સ્ટેશનના સીસીટીવી ફુટેજ તપાસીને નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરાવવા રજુઆત કરી છે.

મૃતકના પરિવારજનોની અમોને મળેલ રજુઆત  મુજબ ગઇકાલે રાતે તેઓ આરોપીની મુલાકાતે ગયા  ત્યારે કસ્ટડીમાં મળવા ગયા હતા. તે સમયે આરોપી પરિવારજન સમક્ષ પોલીસ બેરહેમીપુર્વક તેને માર મારતી હોવાની વ્યથા રજુ કરી હતી. કસ્ટોડીયલ ડેથ બાબતે ગોધરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ આરોપીએ આત્મહત્યા કરી હોવાનું જણાવી રહયા છે તો બીજી તરફ અમોને આરોપીના પરિવારજનો દ્વારા ટેલીફોનીક ગંભીર રજુઆત કરવામાં આવી છે કે તેમના સ્વજનનું મૃત્યુ પોલીસ દ્વારા બેરહેમીથી માર મારવાથી થયેલ છે. તેવો આક્ષેપ કર્યો છે.

(1:31 pm IST)