Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

પોરબંદરની ૨ બોટો સાથે ૧૧ માછીમારોના પાક મરીન દ્વારા અપહરણ

અપહરણ કરેલી બોટોમાં નવસારી અને ગીર સોમનાથ જિલ્લાના ખલાસીઓ : એક વર્ષમાં કુલ ૧૦ બોટો સાથે ૬૧ ભારતીય માછીમારોના જળ સીમાએ અપહરણ

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૮ : કચ્છની જખૌ જળ સીમાએ ફિશીંગ કરતી પોરબંદરની ૨ બોટો સાથે ૧૧ માછીમારોના અપહરણ પાકિસ્તાનની મરીન સિકયુરીટીએ કરી જતા અન્ય માછીમારોમાં ચિંતા વ્યાપી ગઇ છે. આ અપહરણ કરેલી આ ૨ બોટમાં નવસારી અને ગીર સોમનાથ જિલ્લાના ખલાસીઓ છે.

કચ્છના જખૌ જળસીમાએ પાકિસ્તાનની મરીન સિકયુરીટી ત્રાટકીને આ સ્થળે ફિશીંગ કરતી પોરબંદરની જીજે૨૫એમએમ-૧૫૬૪ 'રિધ્ધી-સિધ્ધી' નામની અને રમેશભાઇ કરશનભાઇ કુહાડાની માલીકીની બોટ તેમજ બીજી બોટ જીજે૨૫એમએમ-૬૪૦ 'શ્રી ગણેશ' નામની અને નિકુંજ કનુભાઇ ટોદ્દારની માલીકીની બોટ એમ બંને બોટો સાથે ૧૧ ખલાસીઓ સાથે અપહરણ કરી ગયેલ. કચ્છ જળસીમાએ એક વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ ફિશીંગ બોટ સાથે ૬૧ માછીમારોના પાકિસ્તાન ચાંચિયા અપહરણ કરી ગયેલ છે.

મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જીજ્ઞેશભાઇ ગોહીલે જણાવેલ કે, પાકિસ્તાન મરીન દ્વારા અપહરણ થયેલી પોરબંદરની બન્ને બોટના લાયસન્સ અને ડીઝલ કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે તેમજ આ બોટમાં રહેલા ખલાસીઓના પરિવારજનોના જીવન નિર્વાહ માટે સરકારની યોજના મુજબ સહાય ચુકવી આપવા કાર્યવાહી શરૂ કરી છે.

માછીમારોએ કચ્છ જળ સીમાએ ઓ-ફિશીંગ ઝોનમાં ફિશીંગ નહી કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક જીજ્ઞેશભાઇએ માછીમારોને અપીલ કરી છે.

(11:29 am IST)