Gujarati News

Gujarati News

News of Sunday, 18th April 2021

શ્રી ખોખરા હનુમાન હરિહરધામ બેલા-ભરતનગર રોડ :ખૂબ જ મોટો મહીમા ધરાવતી પ્રાચીન જગ્યા અને સમર્થ સદગુરુ પૂજ્ય કેશવાનંદબાપુની તપસ્થળી: મોરબી વિસ્તારનું ખૂબ મોટું અદભુત તીર્થધામ

મોરબી : અનેક વિવિધ પ્રવૃત્તિઓનું કેન્દ્ર એવા આ ધામમાં નૂતન દેવાલયમાં ભગવાનની મૂર્તિઓ સ્થાપના માટે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. વર્તમાન કોરોનાના સમયમાં માત્ર યજમાન અને સિમિત વિદ્વાન બ્રાહ્મણદેવતાઓની ઉપસ્થિતિમાં આ મહોત્સવ સંપન્ન થશે.
નિર્માણાધીન મંદિરમાં શ્રી ગજાનન-ગણપતિજી મહારાજ, ગુરુદેવ દત્તાત્રય, શ્રી હનુમાનજી મહારાજ, શ્રી રઘુનાથ દરબાર, શ્રી દ્વારકાધીશ રુક્ષ્મણી માતા, માઁ ગાયત્રી માતા, માઁ સરસ્વતી માતા, માઁ સરસ્વતી માતા, માઁ મહાકાળી માતા, માઁ અષ્ટભુજા દુર્ગા માતા તથા શિવ પરિવાર ની સ્થાપના ધાર્મિક વેદોક્ત વિધિથી સંપન્ન થશે.
આશ્રમના પ્રાંગણમાં જ 22 ફૂટના જમીનથી ઊંચા પ્લેટફોર્મ પર, 108 ફૂટ ઊંચી શ્રી હનુમાનજી મહારાજની પ્રતિમા પૂર્ણ થવાના આરે છે જે પ્રતિમાના છાતીના ભાગથી કમરના ભાગ સુધીમાં અબજો રામનામ સ્થાપિત થશે.
અત્રેના જ પટાંગણમાં છેલ્લા સાત વર્ષથી ચાલી રહેલા બ્રહ્મર્ષિ કેશવાનંદ બાપુ વેદ વિદ્યાલય ના નવા આવાસ તથા ગુરુકુળમાં સંતો મહંતો પ્રવેશ કરીને સરસ્વતી અર્ચન કરશે.
સાથે સાથે નિવૃત્ત વડીલો નિવાસ કરી શકે એ માટે સાધનાવન ( વાનપ્રસ્થાશ્રમ ) નું ભૂમિપૂજન પણ કરવામાં આવશે.
સામાન્ય રીતે આ મહિમામયી મહોત્સવ સુવિખ્યાત, વિશિષ્ટ સંતો-મહંતો, વિશેષ ગણમાન્ય અતિથિશ્રીઓ, મહેમાનો-મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાનાર હતો, પરંતુ વર્તમાન સમય એ માટે પરવાનગી આપતો નથી, જે મહોત્સવની તૈયારી ખૂબ લાંબા સમયથી ચાલી રહેલ હતી.
દેવોનું સ્થાપન હોય ત્યાં રામકથા તો અનિવાર્ય હોય જ ત્યારે અત્યંત સિમિત શ્રોતાગણની ઉપસ્થિતિમાં પરમ વિદુષી, મહામંડલેશ્વર શ્રી શ્રી ૧૦૦૮ પ. પૂ. માઁ કનકેશ્વરીદેવીજી ના શ્રીમુખે રામકથા રસપાન થશે અને તમામ ભાવિકો, ભક્તગણ આ કથા લક્ષ્ય ગુજરાતી ધાર્મિક ચેનલ પર ઘેર બેઠા લાભ લઈ શકશે.
 પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાનમાં આયોજિત તમામ રાત્રી કાર્યક્રમો મોકૂફ રાખેલ છે જે વિદિત થાય

 

(6:27 pm IST)