News of Friday, 18th June 2021
સુરેન્દ્રનગર :રાજ્ય સરકારે તાઉતે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓને 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકસાનમાં પ્રતિ એકર રૂ. 3000 ની સહાય આપવાની જાહેરાત કરી સંવેદના બતાવી છે. પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાનાં ખારાઘોડા, ઝીંઝુવાડા કે ધ્રાંગધ્રાનાં કૂડા રણમાં મીઠું પકવતા 3500 અગરિયા પરિવારો સહિત ગુજરાતનાં 5 જીલ્લા, 8 તાલુકા અને 109 ગામોનાં 42,500 અગરિયાઓને (8500 અગરિયા પરિવારો) આ સહાયનો લાભ નહીં મેળવી શકે એવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. કારણ કે આ તમામ અગરિયાઓની લીઝ રાજ્ય સરકારે ઘૂડખર અભયારણ્યના પ્રશ્ને સને 1972થી રીન્યું કરી નથી. માટે સંવેદનશીલ સરકારની વેરાન રણમાં મીઠું પકવતા અગરીયાને તાઉતે વાવાઝોડાની સહાયની યોજના એક મજાક સમાન અને ધોળા દિવસે હથેળીમાં ચાંદ બતાવવા સમાન બની રહવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.
આઝાદીના 74 વર્ષ પછી પણ રાજ્ય સરકાર મુજબ આ સમગ્ર રણ વિસ્તારનો કોઇ સર્વે થયેલો નથી. આથૂ આ વિસ્તારનો કોઇ સર્વે નંબર જ નથી. સર્વે નંબર ઝીરો તરીકે ઓળખાતા આ વિસ્તારનું બધુ જ શૂન્ય. ભારતીય બંધારણથી અપાયેલા નાગરિક મૂળભૂત અધિકારો પણ. 5000 ચોરસ કિ.મી.નો વિસ્તાર ધરાવતું કચ્છનું નાનું રણ એવો ગુજરાત અને દેશનો એકમાત્ર પ્રદેશ છે, કે જેનો ક્યારેય સર્વે હાથ ધરાયો જ નહોતો. સરકારના ધ્યાન પર લાવતાં, આ વિસ્તારનો એરીયલ સર્વે કરી તેને આઝાદી પછી પહેલીવાર સરકારે સર્વે નંબર ઝીરો – આપ્યો. અહીં સ્થળાંતર કરતા અગરિયા ખારાઘોડા રણમાં હોય કે પછી માળીયા હરીપર વિસ્તાર હોય બધાને એક જ સર્વે નંબર ‘0’ લાગુ પડે છે. આ 5000 ચો.કિ.મી.નો સમગ્ર વિસ્તાર અન-સર્વે લેન્ડ હોવાથી અને કોઇ પણ રેવન્યુ વિલેજની હદ-હુકુમતમાં આવતી ના હોવાથી પાંચેય જીલ્લાના એક પણ ગામ પાસે આ વિસ્તારનું રેવન્યુ રેકર્ડ ઉપલબ્ધ નથી. જે જમીનનો જ કોઇ સર્વે ન થયો હોય, કોઇ 7/12નો ઉતારો નીકળતો હોય ત્યાં અગરિયાના પાટાનો સર્વે કોણ કરવાનું હતુ ? તેમ છતાં આજ દિન સુધી સરકાર કે ગામો પાસે અગરિયાઓની ચોક્કસ માહિતી કે, કોણ ક્યાં ક્યારથી કેટલું મીઠું પકવે છે ? તે ઉપલબ્ધ નથી.
સેન્ટ્રલ સોલ્ટ કમિશ્નરના રીપોર્ટમાં કચ્છના નાના રણમાં અગરિયાઓ દ્વારા પકવવામાં આવતા મીઠાના કુલ ઉત્પાદનને “સોલ્ટ-પ્રોડક્શન બાય અન-રેકગ્નાઇઝ યુનિટ’ તરીકે બતાવવામાં આવે છે. હાલમાં ગુજરાતનાં સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, પાટણ અને બનાસકાંઠા મળી 5 જીલ્લાના 8 તાલુકાઓના 109 ગામોના 42500 અગરિયાઓને ( 8500 અગરિયા પરિવારો ) આઝાદી પહેલાથી પેઢી દર પેઢી પરંપરાગતરીતે મીઠું પકવવાનું કામ કરે છે. જેમાં સુરેન્દ્રનગર જીલ્લાના 3500 અગરિયા પરિવારોનો પણ સમાવેશ થાય છે. સને 1973માં કચ્છના નાના રણના 4954 ચો.કિ.મી.વિસ્તારને ઘૂડખર માટે અભયારણ્ય તરીકે રક્ષિત કરવામાં આવ્યો હતો. અને છેલ્લે સને 1972માં રણમાં મીઠું પકવતા અગરિયાઓની જમીનની લીઝ રીન્યું કરવામાં આવી હતી જે સને 1996 સુધી માન્ય હતી. બુધવાર સાંજે રાજ્ય સરકારે છેવાડાના માનવી ગણાતા એવા અગરિયા સમુદાય માટે એક સંવેદનશીલ નિર્ણય લીધો કે, તાઉતે વાવાઝોડામાં અસર પામેલા અગરિયાઓને 10 એકર સુધીની જમીન ધરાવતા અગરિયાઓને થયેલા નુકશાનમાં પ્રતિ એકર રૂ. 3000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. પરંતુ સુરેન્દ્રનગર જીલ્લાના ખારાઘોડા, ઝીંઝુવાડા કે ધ્રાંગધ્રાના કૂડા રણમાં અને હળવદ રણમાં મીઠું પકવતા 3500 અગરિયા પરિવારો સહિત ગુજરાતનાં 5 જીલ્લા, 8 તાલુકા અને 109 ગામોના 42500 અગરિયાઓને ( 8500 અગરિયા પરિવારો ) આ સહાયનો લાભ નહીં મેળવી શકે એવી ચોંકાવનારી હકીકત સામે આવી છે. કારણ કે આ તમામ અગરિયાઓની લીઝ રાજ્ય સરકારે ઘૂડખર અભયારણ્યના પ્રશ્ને સને 1972થી રીન્યું કરી નથી. માટે સંવેદનશીલ સરકારની વેરાન રણમાં મીઠું પકવતા અગરીયાને તાઉતે વાવાઝોડાની સહાયની યોજના એક મજાક સમાન અને ધોળા દિવસે હથેળીમાં ચાંદ બતાવવા સમાન બની રહવાનો ગોઝારો ઘાટ સર્જાયો છે.