Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

ઘુડખર અભયારણ્યમાં 15મી ઓક્ટોબરસુધી પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવાયો

બિન અધિકૃત વ્યક્તિઓએ વાહન લઇ કે પગપાળા અભયારણ્યમાં પ્રવેશ કરવો નહીં:દિવસ દરમિયાન ૨૦ કિ.મી.થી વધુ ઝડપે કોઈએ વાહન ચલાવવા નહીં

સુરેન્‍દ્રનગર:નાયબ વન સંરક્ષક, ઘુડખર અભયારણ્ય- ધ્રાંગધ્રા દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ એક  જાહેરનામા પ્રમાણે આગામી તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૨ સુધી ઘુડખર અભયારણ્યમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના તા.૧૨/૦૧/૧૯૭૩ ના જાહેરનામાંથી અને ૧૯૬૩ ના ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે કચ્છનું નાનું રણ આઇલેન્ડ/બેટ સહિત તથા કચ્છના નાના રણ અને તેને લાગું આવેલ સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રયસ્થાન “જંગલી ગધેડાઓના અભયારણ્ય” તરીકે જાહેર કરેલ છે. આ અભયારણ્યમાં ઘુડખર, દીપડા, ચિંકારા, કાળીયાર, નીલગાય, ઝરખ, નાર, શિયાળ, લોકડી તેમજ સાંઢા જેવા વન્યપ્રાણીઓ વસવાટ કરે છે. જેથી રાતના સમયે બિન અધિકૃત વ્યક્તિઓએ વાહન લઇ કે પગપાળા અભયારણ્યમાં પ્રવેશ કરવો નહીં તથા દિવસ દરમિયાન ૨૦ કિ.મી.થી વધુ ઝડપે કોઈએ વાહન ચલાવવા નહીં. તેમ છતાં આવા કોઇ માલુમ પડશે તો તેમની સામે વન્ય પ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવા વધુમાં જણાવાયું છે

(10:11 am IST)