Gujarati News

Gujarati News

News of Saturday, 18th June 2022

કાલે જામનગરમાં વતનના વિસરાયેલા વીરોની વાત લઇને રાષ્‍ટ્રભકિતથી તરબોળ કરનારા ‘વિરાંજલી' મલ્‍ટી મીડિયા શોનું ભવ્‍ય આયોજન

કાર્યક્રમમાં ૧૮૫૭થી લઇ ૧૯૩૧ સુધીના આઝાદીના લડવૈયાઓની વિરગાથાને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં રજૂ કરાશે : ‘વિરાંજલી' કાર્યક્રમનું સર્વે નગરજનોએ નિદર્શન કરવા ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મેયર બિનાબેન કોઠારી, કલેકટર ડો. સૌરભ પારઘી, કમિશનર વિજય ખરાડી તથા સાંઇરામ દવે દ્વારા અપીલ : કાર્યક્રમના પ્રવેશ પાસ કલેકટર કચેરી તેમજ જામનગર મહાનગરપાલિકા ખાતેથી નિઃશુલ્‍ક મળી રહેશે

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૧૮ : ગુજરાત રાજય રમત ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત આઝાદી અમૃત મહોત્‍સવ' અંતર્ગત ભારત દેશની આઝાદીનો રક્‍ત નિતરતો અને હૃદયસ્‍પર્શી ઈતિહાસ રજુ કરતો ગુજરાતનો સૌ પ્રથમ મેગા મ્‍યુઝિકલ શો વિરાંજલી'નું જામનગરના પ્રદર્શન ગ્રાઉન્‍ડ ખાતે તા.૧૯ જૂન રવિવારના રોજ સાંજે ૭.૩૦ કલાકે આયોજન કરવામાં આવેલ છે.

જે અંગેની પ્રેસકોન્‍ફરન્‍સને સંબોધતા જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, લોક સાહિત્‍યકાર સાઈરામ દવે તથા કાર્યક્રમના ડીરેક્‍ટર વિરલ રાચ્‍છે જણાવ્‍યુ હતુ કે ભારતની નવી પેઢીમાં રાષ્ટ્રભક્‍તિના સંસ્‍કારો જાગૃત થાય, એવા ઉદેશ્‍યથી બનાવાયેલા અને સાંઇરામ દવેએ સમગ્ર સ્‍ક્રિપ્‍ટ લખ્‍યા પછી તેઓ સૌપ્રથમ આ ડ્રામામાં અભિનય કરી રહ્યા છે. જયારે સમગ્ર વિરાંજલી મલ્‍ટીમીડિયા શા'નુ દિગ્‍દર્શન જામનગરના જ વિરલ રાચ્‍છ કરી રહ્યા છે ત્‍યારે નગરજનોએ આ મલ્‍ટીમીડિયા શોને અચૂક નિહાળવો જોઈએ. આ કાર્યક્રમ તદન નિશુલ્‍ક છે જે અંગેના પ્રવેશ પાસ કલેકટર કચેરી તેમજ જામનગર મહાનગરપાલિકા ખાતેથી વિના મૂલ્‍યે મળી રહેશે. નવી પેઢીમાં રાષ્ટ્રભક્‍તિના સંસ્‍કારો જાગૃત થાય, તેમજ કાળની રેતીમાં ગર્ત થયેલા ક્રાંતિવીરોની કેટલીક સાવ અજાણી વાતો જાણવા માટે આ મલ્‍ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ગુજરાતના યુવાનોને ગમે, અને ગળે ઉતરે તેવી શૈલીમાં અત્‍યાધુનિક સ્‍ટેજ અને સ્‍ક્રીનપ્‍લે સાથેના આ મલ્‍ટીમીડિયા શો વિરાંજલી સમિતિ પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત વિરાંજલી' કાર્યક્રમ ગુજરાતના જુદા-જુદા ૧૨ શહેરોમાં રજૂ થઇને ૧૩માં પ્રયોગ રૂપે જામનગરમાં રજૂ થવા જઈ રહ્યો છે. દેશ માટે ફાંસીના તખ્‍તા પર ચડનારા ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુના જીવન અને કવન તેમજ ૧૮૫૭ થી લઈ ૧૯૩૧ સુધીના આઝાદીના લડવૈયાઓની વિરગાથાને ખૂબ જ સચોટ અને રસાળ શૈલીમાં સાઈરામ દવેએ લખી છે, દેશભક્‍તિના ગીતો સાથે રજુ થનારા ગુજરાતના સૌથી મોટા મલ્‍ટીમીડિયા શાઙ્ઘ માં વિરાંજલી કાર્યક્રમને નાટક સ્‍વરૂપે દેશભક્‍તિ અને અવનવા દેશભક્‍તિના ગીતો સાથે રજૂ કરવામાં આવશે. તેમજ શહીદ વીરોની ઝાંખી બતાવવામાં આવશે.

આ કાર્યક્રમ માટે તદ્દન નવા દેશભક્‍તિ ગીતોની રચના કરાઈ છે. જેને કિર્તીદાન ગઢવી, દિવ્‍યા કુમાર, ઓસમાણ મીર, ગીતા રબારી, ભૌમિક શાહ વગેરેએ સ્‍વર આપ્‍યો છે, તેમજ રાહુલ મૂંજારિયાએ એકદમ ફયૂજન સાઉન્‍ડ ટ્રેક પર સંગીતબદ્ધ કર્યા છે. ૧૦૦ થી વધુ કલાકારો સાથેના વિરાંજલી' મેગા શો ને દિગ્‍દર્શક વીરલ રાચ્‍છે ડિરેક્‍ટ કરેલું છે, ત્‍યારે અંકુર પઠાણે તેની કોરિયોગ્રાફી કરી છે. સમગ્ર ઈવેન્‍ટ ધ વિઝયુલાઈઝરના સી.ઇ.ઓ. જીતેન્‍દ્ર બાંધણીયા દ્વારા કો-ઓર્ડીનેટ કરવામાં આવી છે.

જામનગર શહેર માટે અવિસ્‍મરણીય બનનારા દેશ ભક્‍તિના ગીત-સંગીત સાથેના વિરાંજલી' મલ્‍ટીમીડિયા શોનુ સર્વે નગરજનોએ નિદર્શન કરવા ધારાસભ્‍યશ્રી ધર્મેન્‍દ્રસિંહ જાડેજા, મેયરશ્રી બિનાબેન કોઠારી, કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, કમિશનરશ્રી વિજય ખરાડી તથા શ્રી સાંઈરામ દવે દ્વારા અપીલ કરાઇ છે.

(1:25 pm IST)