Gujarati News

Gujarati News

News of Friday, 18th November 2022

તાલાલાના બોરવાવમાં બાઇકને અજાણ્‍યા વાહને ઉલાળતાં ૧૬ વર્ષના સાઝમીનનું મોત

રાજકોટ તા. ૧૮: તાલાલાના બોરવાવ ગામમાં અજાણ્‍યા વાહને બાઇકને ઉલાળી દેતાં સોળ વર્ષના સાઝમીન દિનુભાઇ મોરીને ઇજાઓ થતાં મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ બોરવાવ રહેતાં દિનુભાઇ કરીમભાઇ મોરીનો પુત્ર સાઝમીન (ઉ.૧૬) ગઇકાલે સવારે બાઇકમાં બેસીને જતો હતો ત્‍યારે ગુંદરણ રોડ પર અજાણ્‍યા વાહને બાઇકને ઠોકરે ચડાવતાં સાઝમીનને ગંભીર ઇજાઓ થતાં તાલાલા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કાગળો કરી તાલાલા પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર સાઝમીને ધોરણ નવ સુધી અભ્‍યાસ કર્યો હતો અને હાલમાં તે છુટક મજૂરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. તે બે ભાઇ અને એક બહેનમાં મોટો હતો. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. પોલીસે અકસ્‍માત સર્જનાર વાહન અંગે તપાસ હાથ ધરી છે.

(11:27 am IST)