Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

હળવદમાં એક સાથે ૯ અર્થી ઉઠતા લોકોમાં અશ્રુનો દરિયો વહયો

દુર્ઘટનામાં ૧૨ વ્‍યકિતઓનો ભોગ લેવાતા અડધો દિ'શોકમય બંધઃ અંતિમ યાત્રામાં દેવાભાઇ માલમ, પરસોતમભાઇ સાબરીયા સહિત ગ્રામજનો મોટી સંખ્‍યામાં જોડાયા

(દીપક જાની દ્વારા) હળવદ, તા.૧૯:

હળવદની જીઆઇડીસીમાં  આવેલા મીઠાના કારખાનામાં ગઈકાલે અચાનક મસમોટી દીવાલ ઘસી પડતા ત્‍યાં મજૂરી કરતા શ્રમિકો દટાઈ ગયા હતા અને ૧૨ જેટલા લોકોના કમકમાટીભર્યા મોત નિપજતા ભારે અરેરાટી મચી ગઇ છે. આ દુર્ઘટનાથી સમગ્ર હળવદ પંથક હચમચી ઉઠ્‍યું છે અને હળવદ પંથકમાં ભારે શોક વ્‍યાપી ગયો છે.

ગોઝારી ઘટના બાદ રાત્રે મકવાણા રાજેશભાઈ જેતામભાઈ (ઉ.વ. ૩૯) , કોળી શીતલબેન દિલીપભાઈ (ઉ.વ. ૨૪), કોળી દીપક દિલીપભાઈ (ઉ.વ. ૦૩), કોળી દક્ષા રમેશભાઈ (ઉ.વ. ૧૫), કોળી દિલીપભાઈ રમેશભાઈ (ઉ.વ. ૨૬), કોળી રમેશભાઈ મેપાભાઈ (ઉ.વ. ૪૨), કોળી શ્‍યામ રમેશભાઈ (ઉ.વ. ૧૩)ની સ્‍મશાન યાત્રા નીકળી હતી.

આ સ્‍મશાન યાત્રામાં મોટી સંખ્‍યામાં લોકો જોડાયા હતા. સાથોસાથ મોરબી પ્રભારી મંત્રી દેવાભાઈ માલમ અને ધારાસભ્‍ય પરસોતમભાઈ સાબરીયા સહિતના વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ આ સ્‍મશાન યાત્રામાં સામેલ થયા હતા.

આ ઘટનાના પગલે આજે હળવદ અડધો દિવસ શોકમય બંધ રહ્યુ છે.

 

નરેન્‍દ્રભાઇ મોદી-અમિતભાઇ શાહ-રાહુલ ગાંધીએ શોક વ્‍યકત કર્યો

રાજકોટ તા. ૧૯ :.. હળવદની દુર્ઘટનાનાં પગલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શોક વ્‍યકત કર્યો છે.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ તેમના ટિવટમાં જણાવ્‍યું હતું કે, મોરબીમાં દીવાલ પડવાથી સર્જાયેલી કરૂણાંતિકા હૃદ્રયદ્વાવક છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના શોકમગ્ન પરિવારજનો સાથે છે. ઇચ્‍છીએ કે ઇજાગ્રસ્‍તો ઝડપથી સાજા થઇ જાય. સ્‍થાનિક તંત્ર અસરગ્રસ્‍તોને જરૂરી મદદ પહોંચાડી રહ્યું છે.

કેન્‍દ્રીય ગૃહ સહકાર મંત્રી અમિતભાઇ શાહે ટિવટ દ્વારા જણાવ્‍યું હતું કે, મોરબીમાં ૧ર લોકોનાં મૃત્‍યુ ખૂબ જ દુઃખદ છે. મેં મુખ્‍યમંત્રી સાથે વાત કરી છે. વહીવટી તંત્ર રાહત પહોંચાડી રહ્યું છે. અને ઘાયલોને હોસ્‍પિટલ પહોંચાડી સારવાર અપાઇ રહી છે.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મોરબીના હળવદમાં મીઠાના કારખાનામાં થયેલી દુર્ઘટનામાં ૧ર શ્રમિકોના મૃત્‍યુ અંગે ઊંડું દુઃખ વ્‍યકત કરી મૃતકોના પરિવારોને સાંત્‍વના પાઠવી છે અને આ દર્દનાક અકસ્‍માતમાં ઘાયલ થયેલાઓ સત્‍વરે સાજા થાય  તે માટે પ્રાર્થના કરી હતી.

(11:39 am IST)