Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કચ્‍છની મુખ્‍ય સરકારી હોસ્‍પિટલ જી.કે.જનરલ અદાણી હોસ્‍પિટલમાં આયુષ્‍યમાન યોજના હેઠળ છેલ્લા ૨ વર્ષમાં ૧૦ હજાર ઉપરાંત ડાયાલીસીસ

દર મહિને સરેરાશ ૫૦૦ દર્દીઓનું આયુષ્‍યમાન કાર્ડ હેઠળ નિઃશુલ્‍ક ડાયાલિસીસ કરાય છે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૯ : કચ્‍છની મુખ્‍ય જિલ્લા સરકારી હોસ્‍પિટલ જી.કે. જનરલ અદાણીમાં કાર્યરત નેફ્રોલોજી(કિડનીને લગતા રોગ) વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં ૧૦ હજાર ઉપરાંત દર્દીઓએ આયુષ્‍યમાન કાર્ડ હેઠળ ડાયાલીસીસની સારવાર લીધી હતી.

જી.કે.ના નેફ્રોલોજિસ્‍ટ ડો. હર્ષલ વોરાએ કહ્યું કે, આ હોસ્‍પિટલમાં દર મહિને સરેરાશ ૫૦૦ જેટલા દર્દીઓ ઉપર આ યોજના હેઠળ ડાયાલીસીસ કરવામાં આવે છે. આ નિયમિત સેવા ઉપરાંત ઈમરજન્‍સી ડાયાલીસીસ સેવા ૨૪ કલાક માટે ઉપલબ્‍ધ છે. આર્થિક રીતે નબળા વર્ગના દર્દીને અહી અપાતી સેવા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.

તેમણે કહ્યું કે, આ હોસ્‍પિટલમાં અત્‍યારે ૧૦ ડાયાલીસીસના યુનિટ કાર્યરત છે. જેના દ્વારા આયુષ્‍યમાન યોજના હેઠળ વર્ષ ૨૦૨૦-૨૧માં ૫,૧૩૨ અને ૨૦૨૧-૨૨માં ૫૧૫૭ સાથે કુલ ૧૦૨૮૯ ડાયાલીસીસ કરવામાં આવી હતી.

જી.કે. જનરલ હોસ્‍પિટલના કેન્‍દ્ર અને રાજય સરકારની યોજના અંતર્ગત ચાલતી પી.એમ.જે.વાય. યોજનાના હેડ તપન દવેએ આયુષ્‍યમાન કાર્ડ ધારક અને જરૂરિયાતમંદ દર્દીઓ વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. અને જીકે.માં નિયમિત ડાયાલીસીસ કરાવતા ભુજના ઉષાબેન વિનોદભાઇ સોલંકીએ હોસ્‍પિટલમાં ડાયાલીસીસ કામગીરીને પત્ર દ્વારા બિરદાવી હતી.

(11:11 am IST)