Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

કાલે સવારે પોથીયાત્રા સાથે રીબડામાં પૂજ્ય રમેશભાઇ ઓઝાના વ્યાસાસને કથાનો પ્રારંભ

દરરોજ સવારે ૯ થી બપોરના ૧ વાગ્યા સુધી કથા શ્રવણનો ભાવિકો લાભ લેશે: શ્રી મહીરાજ હનુમાનજી મંદિરે પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા તૈયારીને આખરી ઓપ

જૂનાગઢ : રીબડા ખાતે કાલથી શરૃ થતી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ભોજનાલયની પૂજનવિધી અનિરૃધ્ધસિંહ જાડેજા અને પરિવાર દ્વારા કરવામાં આવી હતી તથા વ્યાસપીઠ તથા મંડપને આખરી ઓપ આપવામાં આવ્યો હતો જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૧૯ : કાલે સવારે પોથીયાત્રા સાથે રાજકોટ - ગોંડલ હાઇવે ઉપર આવેલા રીબડામાં પૂ. રમેશભાઇ ઓઝાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો શુભારંભ થશે. પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજા પરિવાર દ્વારા ધર્મોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે.
કથામાં દરરોજ વિવિધ પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે તથા તા. ૨૩, ૨૪ અને ૨૬ના રોજ સંતવાણી તથા ગરબાનું આયોજન કરાયું છે.
કાલે શ્રી મહિરાજ હનુમાનજી મંદિરેથી પોથીજીની યાત્રા પ્રસ્થાન કરશે અને રીબડામાં વાજતે ગાજતે સૌજોડાશે અને બાદમાં આ પોથીયાત્રા કથા સ્થાને પહોંચશે અને કથાનો મંગલ પ્રારંભ થશે આ કથા દરમ્યાન મંગલમય પ્રસંગોમાં તા.ર૩ને સોમવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ તા. ર૪ મે મંગળવાર ગોવર્ધન પુજા તા.રપને બુધવારે શ્રી ઋક્ષમણી વિવાહ કથાશ્રવણ કરવા આવનાર મહેમાનો તથા ભાવિકો માટે બપોરે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે તેમજ રાત્રે ૯ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે જેમાં તા.ર૩ને સોમવારના રોજ રાત્રે બ્રીજરાજદાન ગઢવી, માયાભાઇ આહિર, સાંઇરામદવે, નારાયણભાઇ ઠાકર, ઓસમમાણ મીર, ભગવતીબેન ગોસ્વામી, હર્ષ પીપળીયા (રીબડા) તા.ર૪ને મંગળવારે ફરીદામીર, દિપકભાઇ જોષી નાગરબાની રામશર અને તા. ર૬ને ગુરૃવારે રાત્રે રાજભા ગઢવી, દેવાયતભાઇ ખવડ, દેવરાજ ગઢવી, અનુભા ગઢવી, હરદેવ આહિર, મનસુખભાઇ વસોયા હકાભા ગઢવી સહીતના કલાકારો સંતવાણીના શુર રેલાવશે. આ કથા દરમ્યાન શ્રી મહિપતસિંહ ભાવુભાબાપુ જાડેજાના માર્ગદર્શન હેઠળ શ્રી રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા, શ્રી અનિરૃધ્ધસિંહ શકિતસિંહ જાડેજા જાડેજા શ્રી રાજદિપસિંહ જાડેજા તથા સત્યજીતસિંહ જાડેજા અને સમગ્ર પરિવાર દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

 

(12:11 pm IST)