Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

કચ્છમાં નર્મદા કેનાલના અધૂરા કામો પૂર્ણ કરવા ઉપર ભાર: સંકલન બેઠકમાં મુખ્ય બ્રાંચ કેનાલથી અંતિમ પોઇન્ટ મોડકુબા સુધી પાણી પહોંચાડવા અગ્રતાનો એકસુર

ભુજ :આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટર પ્રવિણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી.
સંકલન સમિતિમાં ઉપસ્થિત જન પ્રતિનિધિઓ અને વહીવટી તંત્ર દ્વારા ૩૫૭ કિ.મી. લાંબી કચ્છ નર્મદા બ્રાંચ કેનાલની કામગીરીને અગ્રતાના ધોરણે પુરું કરવા એકસુર પડઘાયો હતો. મોડકુબા સુધી નર્મદાના નીર પહોંચાડવાનું કામ અગ્રતાના ધોરણે કરવા જનપ્રતિનિધિઓએ તત્પરતા દાખવતા સાંસદ વિનોદભાઇ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ધારાસભ્ય સર્વ ડો.નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી પ્રધ્યુમનસિંહ જાડેજાએ પણ એકસુરે વહીવટી તંત્રના સંકલનથી એકલક્ષ કરી આયોજનબધ્ધ ઉકેલવા કટિબધ્ધતા દર્શાવી હતી.
જનસહયોગ અને સરદાર સરોવર નર્મદા નિગમ લી.નો સહકાર લઇ તાંત્રિક અને બિનતાંત્રિક કામગીરીને અગ્રતાના ધોરણે પાર પાડવા ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા નિગમના અધિકારીશ્રીએ આ તકે જે ખેડૂતોને પિયત બિનપિયતના તફાવતના વળતર સંદર્ભે યોગ્ય કરવાના અમલ બાબતે વિગતે જાણકારી રજુ કરી હતી. તેમજ અન્ય પ્રશ્નો સંદર્ભે પણ આ બાબતે વિશદ છણાવટ કરવામાં આવી હતી.
આ બેઠકમાં અબડાસા વિસ્તારના અબડાસા, નખત્રાણા અને લખપત તાલુકા માટે ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા દ્વારા પુછાયેલા વીજળી, પાણી, રોડ રસ્તા, ગૌચર જમીન, પશુ સારવાર, પંચાયત, પીજીવીસીએલ, આરોગ્ય, બેંક, ખેતી, પાક, રેતી-પથ્થર, રોયલ્ટી, લીઝના પ્રશ્નો વગેરે જેવા ૪૨ જેટલા પ્રશ્નો સબંધિત વિભાગોના અધિકારીઓ સાથે ચર્ચાયા હતા.
કલેકટર પ્રવિણા ડી.કે. અને નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ દ્વારા તેમના વિવિધ પ્રશ્નો ખાણ ખનીજ વિભાગ, આરોગ્ય, પીજીવીસીએલ, ગેટકો, બીએસએનએલ, બેંક, નાબાર્ડ, ગાઈડ, ગીર ફાઉન્ડેશન, એપીએમસી, ખેતી, પાક, પશુ આરોગ્ય, શાળા, આવાસ, ચોમાસું, પુરવઠો, આરટીઓ, માર્ગ અને મકાન, સિંચાઇ, પંચાયત, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ-ભુજ, કાયદો અને વ્યવસ્થા, મહેસુલ, પોલીસ, જાગીર શાખા, વગેરેના સબંધિત અધિકારીઓ પાસે છણાવટ કરી હતી.
ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાની નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો આપવા બાબતે તેમની દરખાસ્ત રાજયસ્તરે સત્વરે મોકલી આપવાની વાત કરવામાં આવી હતી. રામપરથી ત્રંબો રોડ બાબતે, નર્મદા પીવાના પાણી, પુંઅરેશ્વર અને કંથકોટને પ્રવાસનધામ વિકાસની દરખાસ્ત, જાગીર શાખાના કર્મીઓના વેતન ચર્ચા સમગ્ર જિલ્લા માટે, વીજ ફીડરો, વીજ કનેકશન, રેતી, લીઝ રોયલ્ટીની બાબતો પણ ચર્ચાઇ હતી.
ભુજ ધારાસભ્ય ડો.નીમાબેન આચાર્યે પણ પીવાના પાણી, નર્મદા જળ ઉપરાંત કાયદા બાબતે તેમજ માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા ભચાઉ અને પોતાના મત વિસ્તારના મુન્દ્રા માંડવીના પ્રશ્નો સહિત નર્મદા કેનાલના મુદે ચર્ચા કરી હતી. ઉલ્લેખનીય છેકે, રાપરના ધારાસભ્ય સંતોકબેન અરેઠીયાનો આરોગ્ય પ્રશ્ન પણ આ બેઠકમાં હતો.
આ બેઠકમાં સર્વ નિવાસી અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ડીઆરડીએ નિયામક એમ.કે.જોશી, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક મયુર પાટીલ, મદદનીશ કલેકટરશ્રી મનીષ ગુરવાની, નાયબ કલેકટર ડો.વી.કે.જોષી-અંજાર, શ્રી પી.એ.જાડેજા-ભચાઉ, અબડાસા- પ્રવિણસિંહ જૈતાવત, ડો.મેહુલકુમાર બરાસરા-નખત્રાણા, જિલ્લા પુરવઠા અધિકારી ડો.રીના ચૌધરી, નાયબ વન સંરક્ષક સાદીક મુજાવર, જિલ્લા આયોજન અધિકારી જે.કે.ચાવડા, માર્ગ અને મકાન નાકાઇ આર.બી.પંચાલ, પંચાયત એમ.એ.ટોપીવાલા, આરટીઓ સી.ડી.પટેલ, સીવીલ સર્જન ડો.દામાણી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.માઢક, અધિક્ષક પીજીવીસીએલ એ.ઓ.ગુરવા, ભુસ્તરશાસ્ત્રી એમ.આર.વાળા, પશુપાલક નિયામક એચ.એમ.ઠકકર, નર્મદા નિગમના અધિકારી વિક્રમ ચૌધરી, એસ.એન.પટેલ, સિંચાઇ અને ક્ષાર અંકુશમાંથી એચ.કે.રાઠોડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણના ગોર, પાણી પુરવઠા અધિક્ષક ઈજનેર એ.જી.વનરા, નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસીયા, તાલુકા વિકાસ અધિકારીઓ જે.પી.ગોર-અબડાસા, મયુર ભાલોડીયા-લખપત અને વિનોદ જોષી-નખત્રાણા, બી.એસ.એન.એલ.ના વી.એન.પટેલ, નાબાર્ડ અધિકારી નિરજભાઇ, ગાઇડના વિજયકુમાર, જાગીર, મેજીસ્ટ્રીયલ અને જનરલ શાખાના કલેકટર કચેરીના અધિકારીઓ પણ ઉપસ્થિત રહયા હતા.

(6:47 pm IST)