Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

ઝૂલતા પુલ દુર્ઘટના કેસના 7 આરોપીએ જામીન મેળવવા કરી અરજી, 21મીએ સુનાવણી.

ફેબ્રિકેશનનું કામ કરનાર પેટા કોન્ટ્રાક્ટર પ્રકાશ પરમારે અગાઉ અરજી કરી હતી, હવે અન્ય સાતની અરજી: સુનાવણી આગામી 21મીએ હાથ ધરાશે

મોરબીનો ઝૂલતો પુલ ગત તા ૩૦ ઓક્ટોબરના રોજ તૂટી પડતા 135 લોકોના મોત થયા હતા. જે બનાવ મામલે પુલનું મેન્ટેનન્સ કરતી એજન્સી અને મેનેજમેન્ટ કરતી એજન્સી વિરુદ્ધ પોલીસ મથકમાં ગુનો નોંધ્યા બાદ પોલીસે ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખ, દિનેશ મહસુખરાય દવે, ફેબ્રિકેશન કામગીરી કરનાર પ્રકાશ લાલજીભાઈ પરમાર અને દેવાંગ પ્રકાશભાઈ પરમાર સહિતનાની ધરપકડ કરી હતી.
પોલીસે આ આરોપીઓની રિમાન્ડ મેળવી પૂછપરછ અને તપાસ કરી છે બાદમાં આરોપીઓના ફર્ધર રિમાન્ડની માંગણી કોર્ટે ફગાવી દેતા આરોપીઓને જેલહવાલે કરવામાં આવ્યા હતા. ત્યારે પુલ દુર્ઘટનામાં ઝડપાયેલા પ્રકાશ પરમાર નામના આરોપીએ અગાઉ જામીન માટે અરજી કરી હતી. જયારે 7 આરોપીઓ દીપકભાઈ નવીનચંદ્ર પારેખ, દિનેશભાઇ મહાસુખરાય દવે, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયા, માદેવભાઈ લાખાભાઈ સોલંકી, અલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલ, દિલીપભાઈ ગલાભાઈ ગોહિલ, મુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ હાલ અરજી કરી છે. આ આઠ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી છે. તેની તા. 21 ના રોજ સુનાવણી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે જમીન અરજી કરનાર સાત આરોપીઓમાં દેવાંગભાઇ પ્રકાશભાઈ પરમાર નામના આરોપીનો સમાવેશ નથી

(9:49 pm IST)