Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરે ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી દિનેશ શર્માએ શિશ ઝૂકાવ્‍યું

બાલા હનુમાન મંદિર ટ્રસ્‍ટના પ્રમુખ જીતુભાઈ લાલ તથા અને પૂજારી દ્વારા યુ.પી.ના દિગ્‍ગજ નેતા નું સ્‍વાગત કરાયું

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯  :  ભારતીય જનતા પાર્ટીના ૪૦ દિગ્‍ગજ નેતાઓની કેન્‍દ્રીય કમિટીના સ્‍ટાર પ્રચારક એવા ઉત્તર પ્રદેશના પૂર્વ નાયબ મુખ્‍યમંત્રી  દિનેશ શર્મા, કે જેઓ જામનગરના મહેમાન બન્‍યા હતા, અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે જાહેર સભા અને પત્રકાર પરિષદ સહિતના કાર્યક્રમમાં જોડાયા હતા.

 

 જેઓએ જામનગરમાં રાત્રી રોકાણ કર્યા પછી આજે સવારે અખંડ રામધૂન ના કારણે ગીનેશ બુક ઓફ વર્લ્‍ડ રેકોર્ડમાં સ્‍થાન પામેલા વિશ્વપ્રસિદ્ધ શ્રી બાલા હનુમાનજી ના મંદિરે દર્શનાર્થે આવ્‍યા હતા, અને તેઓએ બાલા હનુમાનજીના મંદિરમાં શીશ ઝુકાવ્‍યું હતું.

 જ્‍યાં બાલ હનુમાન સંકીર્તન મંડળ ટ્રસ્‍ટ ના પ્રમુખ  જીતુભાઈ લાલ દ્વારા તેઓનું વિશેષ સ્‍વાગત કરાયું હતું, અને પરમ પૂજ્‍ય પ્રેમભિક્ષુજી મહારાજ દ્વારા શરૂ કરાયેલી અખંડ રામધૂનના જાપ વિશે અવગત કરાયા હતા. તેઓએ પણ બાલા હનુમાનજી મંદિર પરિસરમાં ઉપસ્‍થિત રહીને ધન્‍યતા અનુભવી હતી.

 આ વેળાએ તેઓની સાથે જામનગરના પૂર્વ મેયર સનતભાઈ મહેતા, શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વસંતભાઈ ગોરી, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ દિલીપસિંહ જાડેજા, ઉપરાંત ડૉ. રાકેશ શર્મા વગેરે પણ ઉપસ્‍થિત રહ્યા હતા, અને બાલા હનુમાનજી મંદિરમાં દર્શન કર્યા હતા.

(1:24 pm IST)