Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

રાહુલ ગાંધીની યાત્રા કોંગ્રેસના અસ્‍તિત્‍વને બચાવવાની યાત્રા, ગુજરાતમાં ત્રીજો પક્ષ છે જ નહીં, જુઠ્ઠાણા ફેલાવતી ગેંગ ઉપર ગુજરાતના લોકો વિશ્વાસ નહીં કરેઃ કેન્‍દ્રીય મંત્રી નરેન્‍દ્રસિંહ તોમર

ભાવનગર પૂર્વના ભાજપના ઉમેદવાર સેજલ પંડયાના સમર્થનમાં જાહેરસભા

ભાવનગરઃ કેન્‍દ્રીય મંત્રી નરેન્‍દ્રસિંહ તોમરે આપ સરકાર ઉપર પ્રહારો કરીને જાહેરસભા ગજવી હતી.

ભાવનગર પૂર્વના ભાજપના ઉમેદવાર સેજલ પંડ્યાના ચુંટણી પ્રચારમાં કેન્દ્રીયમંત્રી નરેન્દ્રસિંહ તોમરે શહેરના ઘોઘા સર્કલ ખાતે જંગી જાહેર સભા સંબોધી હતી. જેમાં ઝારખંડના રાજ્યમંત્રી અન્નપુર્ણા દેવી પણ સાથે જોડાયા હતા. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ જયારે દેશમાં વિકાસ અને જનહિતના કર્યો તેમજ વિવિધ યોજનાઓ થકી જે કામો થયા છે ત્યારે ફરી મોદીના ગુજરાતમાં વધુ એક વાર ભાજપની સરકાર બનશે તેમ જણાવી સેજલ પંડ્યાને વધુમાં વધુ લીડથી જીત અપાવવા અપીલ કરી હતી.

રાજ્યમાં ચુંટણી પ્રચાર હવે તેજ બની રહ્યો છે અને ભાજપના સ્ટાર પ્રચારકો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સભાઓ યોજી વધુ લીડ સાથે ઉમેદવારો જીતે તે માટે જોરદાર પ્રચાર કરી રહ્યા છે ત્યારે ભાવનગર પૂર્વના ભાજપના ઉમેદવાર સેજલ પંડ્યાના સમર્થનમાં ઘોઘા સર્કલ ખાતે એક જંગી જાહેર સભા યોજાઈ હતી. જેમાં કેન્દ્રીય શિક્ષણમંત્રી નરેન્દ્રસિંહ તોમર ચુંટણી પ્રચાર અર્થે આવી પહોચતા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું જયારે તેની સાથે પ્રચારમાં ઝારખંડના રાજ્યમંત્રી અન્નપુર્ણા દેવી પણ જોડાયા હતા.

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે AAP અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોઈ ત્રીજો પક્ષ છે જ નહીં. જુઠ્ઠાણા ફેલાવતી ગેંગ પર ગુજરાતના લોકો વિશ્વાસ નહીં કરે. રાહુલ ગાંધીની યાત્રા કોંગ્રેસના અસ્તિત્વને બચાવવાની યાત્રા છે. ગુજરાતમાં ફરી પ્રચંડ બહુમતી સાથે ભાજપની સરકાર બનવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતનું ગૌરવ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય અને દેશનો ભરપુર વિકાસ કર્યો છે. રાજ્યમાં પીવાના પાણીની મોટાભાગની સમસ્યા ને હલ કરી, ચોવીસ કલાક વીજળી, ખેતી માટે સિંચાઈનું પુરતું પાણી, રોજગાર અને રાજ્યમાં વિદેશી રોકાણ થકી ગુજરાતનો ભરપુર વિકાસ કર્યો છે. વડાપ્રધાન મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે આજે ભારતનું નામ દુનિયામાં ગુંજતું થયું છે. 

કોરોનાના કપરાકાળમાં દેશના 80 કરોડ લોકોને મફત અનાજ, મફત રસીકરણ તેમજ અનેકવિધ લોકસુખાકારી યોજનાઓ થકી આજે મોદી લોકોના દિલમાં રાજ કરી રહ્યા છે, ત્યારે લોકોનો આશીર્વાદ ફરી આ ચુંટણીમાં ભાજપને જંગી જીત અપાવશે તેમ જણાવ્યું હતું.

(4:32 pm IST)