Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અકસ્માત સમયે ડરો નહીં મદદ કરો: કચ્છમાં અકસ્માતગ્રસ્તોને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ પહોંચાડનાર ૧૦ મસીહાને "ગુડ સમરીટન " એવોર્ડથી સન્માતિન કરાયા

હવેથી અકસ્માતગ્રસ્તોને હોસ્પિટલમાં પહોંચાડનાર વ્યકિતઓને એવોર્ડ સાથે નાણાકીય રાશિ એનાયત કરાશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

 માર્ગ અકસ્માતમાં રોજ અનેક લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. જો અકસ્માત સમયે ઘાયલ વ્યકિતને પ્રથમ એક કલાકના ક્રિટિકલ સમયમાં યોગ્ય સારવાર મળી જાય તો તેનો જીવ બચી શકે છે. આ માનવીય વિચાર તથા મદદ કરવાની ભાવના દરેક નાગરીકમાં જાગે અને તેઓ અકસ્માતગ્રસ્તોને કાયદીય ભય વિના મદદગારી કરી શકે  તે માટે કેન્દ્ર સરકાર દ્વારા ''ગુડ સમરીટન '' એવોર્ડ યોજના અમલી કરાઇ છે. જે હેઠળ અકસ્માતગ્રસ્તોની મદદ કરનાર નાગરીકોને જિલ્લા તથા રાષ્ટ્રીય કક્ષાએ '' ગુડ સમરીટન''  એવોર્ડથી સન્માનિત કરાશે. જે અનુસંધાને આજરોજ ગાંધીનગરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત '' રોડ સેફ્ટી ઓથોરીટીની વેબસાઇટ'' નું લોન્ચીંગ તથા ''સ્કીમ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટનનું'' રી-લોન્ચીંગ કર્યું હતું. આ સાથે જ રાજયવ્યાપી કાર્યક્રમ હેઠળ કચ્છમાં પણ જિલ્લા કલેકટર કચેરી ખાતે ઇજાગ્રસ્તો માટે મસીહા બનનાર જિલ્લાના ૧૦ નાગરીકોનું '' ગુડ સમરીટન''  એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે પશ્ચિમ કચ્છ જિલ્લા એસ.પી સૌરભ સિંઘે આ યોજના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે,  ''ગુડ સમરીટન '' એટલે '' માર્ગ પરના મદદગારો '' જેઓ અકસ્માતમા ગંભીર ઘવાયેલા વ્યકિતઓને તુંરતનો પ્રથમ કલાક એટલે ગોલ્ડન અવરમાં તાકીદની તબીબી સારવાર અપાવે છે. જેથી મૃત્યુને નિવારી શકાય છે. આ ગુડ સમરિટનને સરકાર દ્વારા રૂ.૫૦૦૦ની રાશિ સાથે પ્રમાણપત્ર આપીને સન્માનિત કરશે. આવા ગુડ સમરિટનમાંથી સૌથી લાયક ઉમેદવારોના ત્રણ નામ રાજયસરકાર રાષ્ટ્રીય સ્તરના પુરસ્કાર માટે મોકલશે. જેમાંથી કેન્દ્ર સરકાર ૧૦ નામ પસંદ કરીને રાષ્ટ્રીય સ્તરના એવોર્ડથી સન્માનિત કરશે. તેમને રૂ.૧ લાખનું ઇનામ, સર્ટિફિકેટ તથા ટ્રોફી એનાયત કરાશે. 

આજના આ કાર્યક્રમમાં અધિકારીઓ તથા પદાધિકારીઓના હસ્તે કચ્છમાંથી  પસંદ કરાયેલા ૧૦ ગુડ સમરિટનને એવોર્ડ એનાયત કરાયા હતા. જેમાં આદિપુરની સ્વ.શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરીટેબલ ટ્રસ્ટ સાથે સંકળાયેલા તથા ૫૪ વ્યકિતઓના જીવ  બચાવનાર રાજભા નારણભા ગઢવી , ૨૦ વ્યકિતઓને જીવતદાન આપનાર ગાંધીધામના જયંતિભાઇ કુંવરજી સથવારા, ગાંધીધામની અખિલ ભારતીય નવયુગ સંસ્થા સાથે જોડાયેલા અને ૧૮ વ્યકિતોઓના જીવ બચાવનાર  ભરતભાઇ કપુરચંદ ધવલેશા, ૨૦ વ્યકિતઓના જીવ બચાવનાર મુકેશભાઇ વેલાભાઇ ગઢવી, ૧૫ વ્યકિતઓના જીવ બચાવનાર વિજયભાઇ હરીભાઇ ગઢવી, થેબા અજજી આદમ, આનંદકુમાર અરૂણકુમાર ગોર, ભવ્ય દિલીપ માનણી, એએસઆઇ અનિલભાઇ જયંતિભાઇ જોષી તથા  હિરેનભાઇ સુરજપાલ ચિત્રોડીયાનો સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રીશ્રીએ ઇ-સંબોધન કરતા આ યોજના અંગે માર્ગદર્શન આપીને તેનો અમલ જમીનસ્તર સુધી કરવા જણાવ્યું હતું. વાહન વ્યવહારના રાજયકક્ષાના મંત્રીશ્રી હર્ષ સંઘવીએ આ યોજના માનવીય અભિગમ સાથે અમલી કરવા તેમજ લોકો ઇજાગ્રસ્તોને કોઇપણ ભય વિના મદદે આવે તે મુજબનું જિલ્લાસ્તરે આયોજન કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે ભુજ વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ તથા અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગાએ કચ્છવાસીઓને અપીલ કરતા જણાવ્યું હતું કે, આસપાસ કયાંય પણ અકસ્માત બને તો માનવતા દર્શાવીને કાયદાકીય કોઇપણ ભય વિના ઘાયલોને મદદ કરજો. તમારી મદદના પરીણામે કોઇનો પરીવારનો માળો વિંખાતો બચી જાશે. ધારાસભ્યોએ અકસ્માત માટેના કારણોને કેમ ઉકેલી શકાય તે માટે મનોમંથન કરવા જણાવીને અગમચેતીના પગલા ભરવા પણ કહ્યું હતું. 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, એઆટીઓશ્રી વિપુલ ગામીત, માર્ગ-મકાન વિભાગના અધિક્ષક ઇજનેરશ્રી વી.એન.વાઘેલા, સિવિલ સર્જનશ્રી કશ્યપ બુચ તથા અન્ય સંલગ્ન વિભાગના અધિકારીશ્રી, કર્મચારીઓ તથા વિવિધ સંસ્થાના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(10:42 am IST)